Jan 12 2007

કહેવાય નહીં -ઊર્મિસાગર

 hpim0111.JPG

ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ, કહેવાય નહીં.

* * *

સહિયારું સર્જન’ પર ‘કહેવાય નહીં’ વિષય પર લખેલી રચના…

* * *

ઊર્મિસાગર

*

3 Responses to “કહેવાય નહીં -ઊર્મિસાગર”

  1. વિવેકon 13 Jan 2007 at 12:40 pm

    છંદ ન જળવાય તો વાંધો નહીં, પણ કાફિયા તો જળવાવા જ જોઈએ ને? ગયા રવિવારે એક હળવી મિટિંગમાં કવિ રવીન્દ્ર પારેખે એક નવોદિત કવિને ટકોર કરી હતી તે કહેવાની ગુસ્તાખી કરું છું: ” છંદ-કાફિયા અને રદીફના માપ-ભાન વિના દસ હજાર ગઝલો પણ લખશો તો એનું મૂલ્ય પસ્તીથી વિશેષ કંઈ નથી.”

    મારા અંગત મિત્રને આટલું જાહેરમાં કહી શકું એટલો અધિકાર હું મારો માનું છું…

  2. ઊર્મિસાગરon 13 Jan 2007 at 2:16 pm

    તમારી વાત એકદમ સાચી છે જ મિત્ર વિવેક!!
    અને ટિપ્પણીઓ કરવાનો તમને પુરો હક છે! એમાંથી જ ઘણું ઘણું શીખું છું!

    છંદ મને હજી ફાવતો નથી, પરંતુ મોટેભાગે રદીફ અને કાફિયા સાચવવાની કોશીશ જરૂર કરું છું… પરંતુ આ રચનામાં કાફિયા જેવું કંઇ લીધું જ ન્હોતું… ઇંસ્ટંટ રીએકશન હતું- ‘સહિયારું સર્જન’ પરનાં વિષયનું…

    વળી, મેં પણ ક્યાંક વાંચ્યું છે કે રદીફ-કાફિયા હોય તો પણ જો છંદ ન સચવાય તો એ રચનાને ‘ગઝલ’ કહેવાતી જ નથી, માત્ર કવિતા જ કહી શકાય…અને એ હિસાબે તો મારી કોઇ પણ રચનાઓ ગઝલ કહેવાય જ નહીં !! એને ‘કદાચ’ કાવ્યો જ કહી શકાય… પણ આપણા જુગલકાકા તો એમના કાવ્યોને કવિતાઓ ય નહીં ને માત્ર ‘કવિતડાં’ જ કહે છે… એટલે લાગે છે કે મારે ય કંઇક એવું જ કહેવું પડશે!

    તમારો ખૂબ ખૂબ આભાર, ટિપ્પણી બદલ!

  3. bansinaadon 14 Jan 2007 at 4:19 am

    કાબિલ ડેડવાણી નો એક શેર, ઊર્મિ, તારી ગઝલ વાંચી ને યાદ આવી ગયો.

    મહોબ્બતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
    છલોછલ ઝંઝવાંના જળ ભરેલું કોઈ રણ આવ્યું.

    સાચું કહું તો ગઝલ વિષે મારો કોઈ પણ અભિપ્રાય આપવા માટે મારી પાસે અનુભવ નથી. એટલું જ હું જાણું છું કે જેમના હ્રદયમાં થી ‘ઝરણાં શબ્દોનાં આપમેળે’ફૂટે છે એ કોઈ સામાન્ય વાત નથી, મા સરસ્વતી ની કૃપા જાણે ઝરણાં સ્વરુપે ઉદ્ભવતી અને આગળ વધતી વધતી કહેતી ન હોય કે શબ્દો ના આ ઝરણાં કદી સુકાવા ના નથી, એ અમર બનવાં ને માટે જ સર્જાયા છે.

    બીજું, મને આ છબિ એટલી બધી ગમી છે કે મને પ્રત્યક્ષ એ જગ્યા એ પહોંચી ને ત્યાંના કુદરતી સૌંદર્ય ને મન ભરી ને માણી લેવાની ઈચ્છા થઈ આવી. ભલે એ પછી ‘ઝાંઝવાં ના જળ’ સમાન સાબિત થાય. એક વાર એ ‘ઈચ્છા’ ને ક્લ્પના ની દુનિયા માં માણવાનો આનંદ પણ અનેરો જ છે.

    જય.

Trackback URI | Comments RSS

Leave a Reply