આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
આ તો મનગમતું રાન છે ઓ શ્યામ, મને ફાવે ત્યાં કેડી કંડારું.
લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ;
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, હું જ તારી રાધા તું શ્યામ…
આ તો ગમતીલું ગાન છે ઓ શ્યામ, મને ભાવે તે સૂરમાં લલકારું.
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
જગમાં તો ઠેર ઠેર મથુરા દેખાય મને, ભીતરમાં ગોકુળીયું ગામ,
એક એક ગોપી મારા અંગે રમે ને થાય રોમરોમ રણઝણીયું ધામ;
એ તો મોરનાં પીંછાનું હતું કામ, હું તો હતી સાવ નાદાન…
એ તો મોરનાં પીંછાનું હતું કામ, કહાન ! એમ કંઈ હું દલડું નહીં આપું !
આ તો લાગણીનું ગામ છે ઓ શ્યામ, એમાં એક જ કેડીએ કેમ ચાલું ?
એક વેળા મેં તને ચાહ્યો હતો- એ વાતને ભૂલી નથી, પણ, પછી એ કોયડો ઉકલ્યો હતો- એ વાતને ભૂલી નથી.
આપણે બંજર-ગિરિ ખોડ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પત્થરોમાં પ્રાણ પણ પૂર્યો હતો- એ વાતને ભૂલી નથી.
આપણે આકાશ ફાડી ઝરમર્યાં, વરસ્યા હતા કૈં ધોધમાર,
આપણામાં મેઘ ખુદ ન્હાયો હતો- એ વાતને ભૂલી નથી.
શ્વાસનાં થઈ જઈ હલેસાં આપણે નીકળ્યા અને ભૂલા પડ્યા…
ને પરસ્પર માંહ્યલો ખેડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
રે સખા ! એક દિલ્લગી મેં તો કરી’તી સાવ અમસ્તી…
ને ઉભયનાં માર્ગને મોડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
તું મને ભૂલી જતે કે રાવ કરતે- એ હતો અધિકાર તારો, પણ બધું ભૂલીને તું નિખર્યો હતો- એ વાતને ભૂલી નથી.
-’ઊર્મિ’
* આ ગઝલ કવિ શ્રી હર્ષદ ત્રિવેદીની ‘ભૂલી ન જા‘ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ છે, જે એમની એ ગઝલનાં પ્રત્યુતરરૂપે (કે સંવાદરૂપે!) અનાયાસે જ લખાઈ હતી… આ ગઝલ હું કવિશ્રી હર્ષદભાઈને જ સાદર અર્પણ કરું છું.
વ્હાલા મિત્રો, આજે આ ઊર્મિનાં સાગરની ત્રીજી વર્ષગાંઠ છે… ઊર્મિસાગર.કૉમ નાં વ્હાલા વાંચક-ચાહક-ભાવક મિત્રોને લીધે જ- એટલે કે આપ સૌને કારણે જ મારા આઊર્મિનાં સાગરમાં સતત ભરતી આવતી રહી છે અને આપણી આ ગાગરમાં સાગરહંમેશા છલકાતો ને ઊભરાતો રહ્યો છે. આપ સૌનાં સતત સહકાર અને પ્રોત્સાહન તેમ જ નિખાલસ અને પ્રેરણાત્મક ટીપ્પણીઓ બદલ આપ સૌનો અંતરની ઊર્મિથી આભાર…! ભવિષ્યમાં પણ કાયમ એ મળતાં જ રહેશે એવી આશા સહ… સ્નેહવંદન.
આજે ફરી પ્રસ્તુત છે, મારું એક ગીત-પઠન. આશા છે કે આપ સૌને ગમશે.
(’મળવા’ની ઘટના… 21 એપ્રિલ, 2009)
સખા, આપણા મળવાની જે ઘટના ઘટી અને ઊજવાયું ભીતર કૈં પળ પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?
સખા, ઘટના કહું કે કહું અવસર ?
વરસોથી વાયરા આ થીજ્યા હતાં, જ્યારે લીલાછમ્મ ગરમાળા મૂરઝ્યા હતા;
પછી સળવળતી લાગણીને વાચા ફૂટી ને
પછી દરિયાઓ ધોધમાર ઊમટ્યા હતા,
કંઈ કેટલાયે બંધ પછી તૂટ્યા હતા;
હવે ઝળહળતી સંધ્યાએ ધખધખતાં ગુલમ્હોર વરસે મુશળધાર હર પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?
છાતીમાં મઘમઘતાં લીલુડાં સપનાં,
બળબળતા રોમરોમ છાના ને છપનાં;
તારાપણાંનો પછી સૂરજ ઊગ્યો ને
મારી ભીતર કૈં કેટલાયે ઉપવન પ્રગટ્યાં,
પછી સૂરજમુખીનાં મહીં ફૂલો ફૂટ્યાં;
હવે ફૂલોની સંગાથે કંટક કરે છે સખા, તારા તે નામતણી અટકળ,
એને ઘટના કહું કે કહું અવસર ?