એક વેળા મેં તને ચાહ્યો હતો- એ વાતને ભૂલી નથી, પણ, પછી એ કોયડો ઉકલ્યો હતો- એ વાતને ભૂલી નથી.
આપણે બંજર-ગિરિ ખોડ્યો હતો- એ વાતને ભૂલી નથી,
પત્થરોમાં પ્રાણ પણ પૂર્યો હતો- એ વાતને ભૂલી નથી.
આપણે આકાશ ફાડી ઝરમર્યાં, વરસ્યા હતા કૈં ધોધમાર,
આપણામાં મેઘ ખુદ ન્હાયો હતો- એ વાતને ભૂલી નથી.
શ્વાસનાં થઈ જઈ હલેસાં આપણે નીકળ્યા અને ભૂલા પડ્યા…
ને પરસ્પર માંહ્યલો ખેડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
રે સખા ! એક દિલ્લગી મેં તો કરી’તી સાવ અમસ્તી…
ને ઉભયનાં માર્ગને મોડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
તું મને ભૂલી જતે કે રાવ કરતે- એ હતો અધિકાર તારો, પણ બધું ભૂલીને તું નિખર્યો હતો- એ વાતને ભૂલી નથી.
-’ઊર્મિ’
* આ ગઝલ કવિ શ્રી હર્ષદ ત્રિવેદીની ‘ભૂલી ન જા‘ ગઝલમાંથી મળેલી પ્રેરણાનું પરિણામ છે, જે એમની એ ગઝલનાં પ્રત્યુતરરૂપે (કે સંવાદરૂપે!) અનાયાસે જ લખાઈ હતી… આ ગઝલ હું કવિશ્રી હર્ષદભાઈને જ સાદર અર્પણ કરું છું.
વ્હાલા મિત્રો, આજે આ ઊર્મિનાં સાગરની ત્રીજી વર્ષગાંઠ છે… ઊર્મિસાગર.કૉમ નાં વ્હાલા વાંચક-ચાહક-ભાવક મિત્રોને લીધે જ- એટલે કે આપ સૌને કારણે જ મારા આઊર્મિનાં સાગરમાં સતત ભરતી આવતી રહી છે અને આપણી આ ગાગરમાં સાગરહંમેશા છલકાતો ને ઊભરાતો રહ્યો છે. આપ સૌનાં સતત સહકાર અને પ્રોત્સાહન તેમ જ નિખાલસ અને પ્રેરણાત્મક ટીપ્પણીઓ બદલ આપ સૌનો અંતરની ઊર્મિથી આભાર…! ભવિષ્યમાં પણ કાયમ એ મળતાં જ રહેશે એવી આશા સહ… સ્નેહવંદન.
આજે ફરી પ્રસ્તુત છે, મારું એક ગીત-પઠન. આશા છે કે આપ સૌને ગમશે.
(’મળવા’ની ઘટના… 21 એપ્રિલ, 2009)
સખા, આપણા મળવાની જે ઘટના ઘટી અને ઊજવાયું ભીતર કૈં પળ પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?
સખા, ઘટના કહું કે કહું અવસર ?
વરસોથી વાયરા આ થીજ્યા હતાં, જ્યારે લીલાછમ્મ ગરમાળા મૂરઝ્યા હતા;
પછી સળવળતી લાગણીને વાચા ફૂટી ને
પછી દરિયાઓ ધોધમાર ઊમટ્યા હતા,
કંઈ કેટલાયે બંધ પછી તૂટ્યા હતા;
હવે ઝળહળતી સંધ્યાએ ધખધખતાં ગુલમ્હોર વરસે મુશળધાર હર પળ,
એને ઘટના કહું કે કહું અવસર ?
છાતીમાં મઘમઘતાં લીલુડાં સપનાં,
બળબળતા રોમરોમ છાના ને છપનાં;
તારાપણાંનો પછી સૂરજ ઊગ્યો ને
મારી ભીતર કૈં કેટલાયે ઉપવન પ્રગટ્યાં,
પછી સૂરજમુખીનાં મહીં ફૂલો ફૂટ્યાં;
હવે ફૂલોની સંગાથે કંટક કરે છે સખા, તારા તે નામતણી અટકળ,
એને ઘટના કહું કે કહું અવસર ?