મિત્રો, કાલે વિવેકે તમને કહ્યું હતું ને… કે ઊર્મિસાગર.કૉમ વર્ષગાંઠની ઉજવણી થોડા દિવસ તો ચાલુ જ રહેવાની છે… તો લ્યો,આ રહી આજની એક સ્પેશ્યલ પોસ્ટ…!

મારા બ્લોગ્સની બીજી વર્ષગાંઠ નિમિત્તે પ્રિય મિત્ર હિમાંશુભાઈએ એમનાં એક ખૂબ જ પ્યારા સંદેશની સાથે સાથે એક તરોતાજા ગઝલ પણ મોકલાવી છે… (ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ!) તો ચાલો મિત્રો, આપણે હિમાંશુભાઈનાં જ અવાજમાં એમની આ ગઝલનું પઠન સાંભળીએ. 


(સખી, શણગાર રહેવા દો…!)

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

-હિમાંશુ ભટ્ટ