આપણા શ્રેષ્ઠ કવિ અને ગીતકાર શ્રી રાજેન્દ્ર શાહનું ૨જી જાન્યુઆરીએ નિધન થયું છે, અથવા કહીએ કે આપણી વ્હાલી ગુજરાતી ભાષાએ અનુગાંધી યુગના એક આધ્યાત્મિક કવિ ગુમાવ્યા છે.  પરંતુ એક સાચા કવિનું કદી મૃત્યુ હોઈ શકે ખરું?!  અક્ષરદેહનાં આ સ્વામીએ તો એ જ દિવસે સાચા અર્થમાં શબ્દદેહે અમરત્વ પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય… ઉમાશંકર જોષી (૧૯૬૭) અને પન્નાલાલ પટેલ(૧૯૮૫) પછી રાજેન્દ્રભાઈ ત્રીજા ગુજરાતી કવિ હતા કે જેમને ખૂબ જ પ્રતિષ્ઠિત એવો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ (૨૦૦૪) મળ્યો હતો.

કવિશ્રીનાં અંતિમ શબ્દો:  “મારું જીવનકાર્ય હવે પૂરું થઈ ગયું છે…” -નાં ઉત્તરમાં ડૉક્ટરે એમને આશ્વાસનરૂપે બીજા દિવસ સુધીમાં તો સારા થઈ જવાનું કહ્યું, ત્યારે ઉત્તરમાં એમણે કહ્યું હતું કે- “પણ આવતીકાલે હું હોઈશ તો ને ?  આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ.  હું બિલકુલ સ્વસ્થતાથી  જઈ રહ્યો છું.

સંસારમાં પોતાનાં મુગ્ધ ભ્રમણને હસતાં હસતાં સંકેલી લેનાર આ કવિશ્રીને એક સપ્તાહ સુધી આપણે એમનાં જ ગીતો દ્વારા અંજલિ આપીએ.

old20man2020hill20clouds
(નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ…     ફોટો: વેબ પરથી)

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ,
કયારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ;
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી;
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે હું જ રહું અવશેષે.

-રાજેન્દ્ર શાહ

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે.  પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !  (આસ્વાદ: ધવલ શાહ)

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

(સૌજન્ય: લયસ્તરો)

કવિશ્રીનાં જીવનનો એક યાદગાર પ્રસંગ:

મેટ્રિકની પરીક્ષા ન આપીને આઝાદીની લડાઈ અંતર્ગત અસહકારના આંદોલનમાં જોડાયેલા રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના ક્ષેત્રે જેમ ટોચ પર બિરજતા હતા તેમ એમનો રાષ્ટ્રપ્રેમ પણ ટોચનો હતો… ૧૯૩૦માં ત્રણ મહિનાની આકરી સજા અમદાવાદ અને યરાવડાની જેલમાં ભોગવી પછી વતન કપડવંજમાં પાછા ફર્યા હતા.  એ પછીના એક દિવસે કપડવંજના ટાવર પર રાષ્ટ્ર્ધ્વજ ફરક્યો હતો.  એને ઉતારવા પોલીસ પ્રયાસ કરી રહી છે એવું રાજેન્દ્રભાઈના ધ્યાનમાં આવ્યું.  એ સાથે જ આ તરવરિયા યુવાન સડસડાટ ટાવર પર ચડી ગયા.  કોઈ કશું વિચારે એ પહેલાં જ રાષ્ટ્રધ્વજને છાતીસરસો ચાંપી લઈ ઊંચા ટાવર પરથી સીધો ભૂસકો લગાવ્યો હતો !  એટલી ઊંચાઈએથી પટકાયા પછી પણ ધ્વજને નહીં છોડનારા રાજેન્દ્રભાઈને પોલીસે પણ ઢોર માર માર્યો હતો.  એના કારણે એમણે લાંબી માંદગી પણ ભોગવવી પડી હતી.  (ગુ.સા.માંથી સાભાર)

વધુ માટે વાંચો: