આજે કવિશ્રી ઉમાશંકર જોશીનાં જન્મદિવસે એમને ઝરમરતી મેઘાંજલિ…!

20
(છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ…)

શ્રાવણ હો !
.             અરધી વાટે તું રેલીશ મા !
.             મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
.                                   અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
.                                                  અરધી વાટે…

આછાં  છાયલ  અંગનાં  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો  રખે  ને  રેલ્યો  જાય.
.                                                  અરધી વાટે…

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
.                                  અરધી વાટે તું રેલીશ મા,
.                                                                     શ્રાવણ હો !

-ઉમાશંકર જોશી

શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને છેલ્લે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવીને કવિ કબૂલ કરે છે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે.  કવિ ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું એક દ્વન્દ્વ-ગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.