મહોબ્બતની મહેફિલ હશે ત્યાં જશું દિલ,
મગર આપણી વાત અંગત રહેશે,
અગર બોલશું તો થશે એ કહાની,
નહીં બોલશું તો હકીકત રહેશે.
તરસને તજી દેવી એ પણ નશો છે,
મને એ નશો તો અવિરત રહેશે,
શરાબી સમી કોઇ આદત વિના પણ
શરાબી સમી રોજ હાલત રહેશે.
ભલે કોઇ શયતાન જેવું રમી લે,
છતાં સ્થાન મારું સલામત રહેશે,
હું ભટકીશ જગમાં છતાં મારે માટે,
હતી જેમ એમ જ એ જન્નત રહેશે.
વિકટ મારી જીવનસફરમાં તમે જે,
નથી સાથ દીધો એ સારું કર્યું છે,
તમે છો સુખી એટલી કલ્પનાથી,
મને સૌ મુસીબતમાં રાહત રહેશે.
અમે મૌન રાખી પ્રણયની સભામાં,
કરી ક્રાંતિ રૂસ્વાઇઓની પ્રથામાં,
હવેથી અમે પણ ન બદનામ થાશું,
હવેથી તમારી ય ઇઝ્ઝત રહેશે.
પ્રણય પોતે એવો અમર ભાવ છે જ્યાં,
જરૂર નથી કોઇ કુરબાનીઓની,
અમે એકબીજાનાં બનીને ન રહેશું,
છતાંયે અમારી મહોબ્બત રહેશે.
જીવનમાં નથી કોઇને પણ નડ્યો હું,
એ પુરવાર કરવું છે મારે મરણથી,
બધા માર્ગથી પર રહ્યો છું હું એમજ,
બધા માર્ગથી દૂર તુરબત રહેશે.
જીવન એવું બેફામ સારું જીવ્યો છું,
કે મારે જ રડવું છે મારા મરણ પર,
જગતને સદા સાલશે ખોટ મારી,
જમાનાને મારી જરૂરત રહેશે.
-બરકત વિરાણી ‘બેફામ’
* * *
તુરબત = કબર
*
બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી






તમે છો સુખી એટલી કલ્પનાથી,
મને સૌ મુસીબતમાં રાહત રહેશે.
વાહ !!!
સુંદર કૃતિ.
બેફામ સાહેબની ગઝલના મક્તામાં મોટેભાગે મરણની વાત હોય છે… જીવનની સાથે મરણની વાત્યુ તો બેફામસાહેબ જ કરી શકે…
ગઝલની દુનિયામા હુકમના પાના સમા બેફામ સાહેબ ને સલામ…
Hello Urmi DiDi,
I like this one very much…
Please add it in Archive for the ‘બેફામ’ Category
સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.
મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.
મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
-બરકત વિરાણી ‘બેફામ’