દિનેશ અંકલનું આ ગીત નેટ પર તો ઘણા વાંચકમિત્રો અત્યાર સુધીમાં માણી જ ચૂક્યા હશે.  આજે આ ગીતની ખાસ વાત એ છે કે આ જ ગીતની ધ્રુવપંક્તિને સાર્થક કરતો “આંબે આવ્યા મ્હોર” નામનો એક કાર્યક્રમ દિનેશ અંકલ દ્વારા આવતી કાલે 10મી જાન્યુ.એ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ ઓડિટોરીયમમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમની પાછળ ખૂબ જ શુભ ભાવના રહેલી છે.

કોણ આંબો વાવે, કોણ ઉછેરે અને કોણ એના ફળ ખાય- એ સાંકેતિક વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે.  પરંતુ આ વાત દિનેશભાઈનાં જીવનમાં એટલી હદે વણાઈ ગયેલી છે કે એમનાં સંપર્કમાં આવનાર દરેકને આ વાત તરત જ સમજાઈ જાય છે.  મીઠી મીઠી કેરીઓ ખાનારને કદી ક્યાં ખબર હોય છે કે કયા આંબાની આ કેરી હશે અને કોણે એ વાવ્યો હશે ને ઉછેર્યો હશે !  એવી જ રીતે કેટલાંક સાચા મહાનુભાવોની સખાવત અને એમનાં સીધા ને આડકતરા દાનનાં ફળોનો ખ્યાલ તો વર્ષો પછી પણ કદાચ આવે તો આવે… અને જ્યારે આવે ત્યારે જાણે આપણા અચંબાનાં દરિયામાં ભરતી આવી જાય છે.  કહેવાય છે કે મુંબઈમાં શેઠ ગોકુલદાસ તેજપાલનું નામ કંઈક આવા જ મહાનુભાવોની ગણતરીમાં લેવામાં આવે છે.  એવું યે સાંભળ્યું છે કે મુંબઈમાં કોઈ પણ પ્રોગ્રામનો સૌપ્રથમ શુભારંભ લગભગ ગોકુલદાસ તેજપાલ ઓડિટૉરીયમમાં જ થાય છે.

નાટ્યકર્મીઓ નાટકનો શુભારંભ કરવાનો આગ્રહ હંમેશા તેજપાલમાં કેમ રાખે છે એ તો ખબર નથી પણ એ પુણ્યાઈ આત્માના આશિર્વાદ તો ઉતરતા જ હોવા જોઈએ!  ગોકુલદાસ તેજપાલે તેમનાં દાન-ધર્માદાનાં કાર્યોના ભાગરૂપે જરૂરતમંદ વિદ્યાર્થીના લાભાર્થે મુંબઈમાં એક હોસ્ટેલ બંધાવી હતી.  હોસ્ટેલમાં રહી ચૂકેલાઓનાં … નામોમાં એક નામ હતું ડો. પ્રો. દિનેશ ઓ.શાહ.  યુનિવર્સિટી ઑફ ફ્લોરિડા ગેઈંસવિલમાં પ્રોફેસર અને નડિયાદથી ધરમશી દેસાઈ યુનિ.માં સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી વિભાગનાં સ્થાપક પ્રો.દિનેશ શાહના હાથ નીચે … વિશ્વનાં અનેક વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે.  અને એમના દ્વારા ફેલાયેલા આ વૈશ્ચિક જ્ઞાનનો સંપૂર્ણ યશ દિનેશભાઈ ગોકુલદાસ તેજપાલને આપે છે.  શેઠ ગોકુલદાસ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા પ્રો. દિનેશ શાહે તેજપાલ ઓડિટોરિયમમાં તા. 10મી જાન્યુઆરી 2009નાં દિવસે પોતે લખેલાં સુંદર ગીતોનો કાર્યક્રમ યોજ્યો છે, જેનું નામ છે, ‘આંબે આવ્યા મ્હોર’.  તેમનાં ગીતોનું સ્વરાંકન ઉદય મઝુમદાર અને કર્ણિક શાહનું છે. ગીતો રજૂ કરશે ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી, દિપાલી સોમૈયા, વિજયપ્રકાશ, [રૂપકુમાર રાઠોડ,] અને કરસન સાગઠિયા સહિત અન્ય કલાકારો.  ફક્ત આમંત્રિતો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગોકુલદાસ તેજપાલનાં પરિવારજનો સહિત નામાંકિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે. “  આખો લેખ અહીં વાંચો.

જી.ટી. હોસ્ટેલમાં મને રહેવા ન મળ્યું હોત તો હું આ સ્થાને પહોંચ્યો ન હોત.” એવું કહેતા દિનેશભાઈને પચાસ વર્ષથી આવું કંઈક કરવાની ઈચ્છા હતી.  તેઓ માને છે કે ગોકુલદાસની ઉદારતા અને સહાયને કારણે જ મુંબઈ જેવા મોંઘા શહેરમાં ત્યારે તેઓ ભણી શક્યા અને એટલે જ આજે વિશ્વભરના વિદ્યાર્થીઓને પણ તેઓ ભણાવી શક્યા છે.  આજે શ્રી ગોકુલદાસ તેજપાલને આ રીતે ભાવાંજલિ આપવાની આવી સુંદર તક મળવાનો દિનેશભાઈને અનહદ સંતોષ અને આનંદ છે.

કાર્યક્રમની બીજી એક ખાસ વાત એ છે કે આ કાર્યક્રમ થકી મળેલા મોટાભાગનાં નાણાં ધર્માદામાં જવાનાં છે.  જેમાંથી તેઓ આર્થિક સ્થિતિમાં ઝઝૂમતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ દ્વારા મદદ કરી શકે.  મતલબ કે દિનેશભાઈ પણ હવે ઘણા ‘આંબા’ વાવવાના છે.  અત્યંત શુભ ઈરાદાથી કરાયેલા આ કાર્યક્રમ માટે આપણે શ્રી દિનેશભાઈને મબલખ મબલખ શુભેચ્છાઓ પાઠવીએ અને એમનાં દ્વારા વાવેલા દરેક ‘આંબા’ ભવિષ્યની પેઢીને એમનાં જેટલા જ ફળો આપે એવી હાર્દિક શુભકામનાઓ કરીએ.

આ કાર્યક્રમની ભાવનાને સાર્થક કરતું એમનું જ ગીત માણીએ… અને આશા રાખીએ કે થોડા સમય પછી આપણને આ સાંભળવા પણ મળે.

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં, કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

-ડૉ. દિનેશ ઓ. શાહ (સપ્ટેમ્બર ૧, ૨૦૦૭)

*

નોંધ: આ જ કાર્યક્રમમાં “ત્રિવેણી સંગમ” નામની એક ઓડિયો-સીડીનું વિમોચન પણ થનાર છે.  જેમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે: ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ.  થોડી રાહ જોશો તો “ત્રિવેણી સંગમ”માંથી થોડા દિવસમાં 1-2 ગીત કે ગઝલ જરૂરથી સંભળાવીશ હોં મિત્રો…!