ઘણી વેળા વિચારું છું, વિચારોને વિકાસ આપું,
કવિ છું તો જરા જગને પરિવર્તનનો પાસ આપું.

પ્રથમ તો આ આભધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.

સૂરજ ઉગવા છતાં અંધકારમાં જીવન વીતે છે જ્યાં,
બધાયે એવા દિવસોને હું રાતોની અમાસ આપું.

જુએ છે જે ઉષાના આગમનની વાટ સંધ્યાથી,
હું એના દિપકોને સૂર્યકિરણોનો ઉજાસ આપું.

ભટકવાનું મૂકાવી સૌની પાછળ ભ્રમને ભટકાવું,
કે રણનાં ઝાંઝવાં લઇ લઉં ને એને સૌની પ્યાસ આપું.

સનાતન શોધના હું ફેરવી નાખું બધાં રસ્તા,
બધી વણઝાર અટકાવીને મંઝિલને પ્રવાસ આપું.

સિંચી તદબીરથી તકદીરનાં હું બીજ વાવી દઉં,
મળે માટી મહીં તો પણ ફળે એવા પ્રયાસ આપું.

મજા જે લઇ રહ્યો છે પાપની એ સર્વ જીવોને,
પડે રસ એટલે હું પુણ્યકર્મોનો વિલાસ આપું.

ચીરીને દંભના પરદા હું ઢાંકું નગ્ન સત્યોને,
લૂંટી લઉં લાજ દાનાની, દીવાનાને લિબાસ આપું.

ઉતારી આભને નીચે હું ઘર બાંધું બધાં માટે,
ધરા પર રોજનાં રઝળી પડેલાને નિવાસ આપું.

જગતમાં જીવનારાને હું જન્નતની હવા બક્ષું,
કબરમાં ગૂંગળાતા સર્વ મુરદાને ય શ્વાસ આપું.

ખુદાની સર્વવ્યાપકતા લઇને ગુપ્ત થઇ જાઉં,
અને એકાંત મારા ઘરમાં એને મારો વાસ આપું.

દુ:ખોની વેદનાથી જે કદી ઊંઘી નથી શક્તા,
સદાયે મારા સુખના સ્વપ્નમાં એને સમાસ આપું.

પરંતુ સ્વપ્નમાં સચ્ચાઇનું ગૌરવ નથી હોતું,
કવિની કલ્પનાના હાથમાં વાસ્તવ નથી હોતું.

-બરકત વિરાણી ‘બેફામ’

* * *

અદભૂત કલ્પનાનાં રંગબેરંગી આકાશમાં શબ્દોનાં ઉડનખટોલા પર બેસી ઘણું ઘણું ઉડ્યા પછી છેલ્લા શેરમાં કવિએ વાસ્તવિકતાની ઘરતી પર આવીને પોતાની મર્યાદાને કેવી સહજ રીતે સ્વીકારી લીધી !!

*

બરકત વિરાણી ‘બેફામ’ની જીવનઝાંખી

*