ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં: . માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિન્દીનાં જલ પર ઝૂકી . પૂછે કદંબ ડાળી;
યાદ તને બેસી અહીં વેણુ . વાતા’તા વનમાળી ?
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં: . માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ . . કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં . . રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં: . માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસમટુકી . . મારી વાટ ન કેમે ખૂટી;
અબ લગ કંકર એક ન લાગ્યો, . . ગયાં ભાગ્ય મુજ ફૂટી.
કાળજ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં: . માધવ ક્યાંય નથી મધુવનમાં.
- હરીન્દ્ર દવે
વારંવાર પુનરાવર્તિત થતો ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’નો ઉદગાર આખા ગીતમાં માધવનાં મધુવનમાં હવે ન હોવાની કારમી ચોટને વધુ ને વધુ ઘેરી કરે છે અને એની પીડા લાંબા સમય ઘૂંટાયા કરે છે. આ ધ્રુવપંક્તિ આપણા ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ છે એમ કહીએ તો જરાયે અતિશયોક્તિ નહી હોય. આ ગીતામાં માત્ર રાધા કે ગોપીનો વિરહ નથી, આખા ગોકુળનો વિરહ છે. તમામ સજીવો તથા નિર્જીવ પદાર્થો પણ કૃષ્ણની શોધાશોધ કરે છે. આખી સૃષ્ટિ જાણે રાધામય કે ગોપીમય બની ગઈ છે. મથુરા ચાલ્યા ગયેલા કૃષ્ણ હવે ગોકુળમાં નથી જ, પરંતુ એ ‘ક્યાંય નથી’નું સત્ય હજી પ્રકૃતિને ગળે પણ નથી ઉતરતું. કવિશ્રી આપણને પણ રાધાભાવમાં ડૂબાડી રાધાકૃષ્ણનાં સાન્નિધ્યની અદભૂત અનુભૂતિ કરાવતા હોય એવું ભાસે છે.
લયસ્તરો પર યાદગાર ગીતોની ચાલી રહેલી શૃંખલામાં આજે હરીન્દ્ર દવેનું બીજું એક ગીત પણ માણો… - ને તમે યાદ આવ્યા !
થોડા દિવસો પહેલા જ એક સખીએ એની આંખોમાં ખૂંચતા આવા જ ઉજાગરા વિશે જણાવ્યું, તો તરત જ મને ગમતું આ ગીત યાદ આવી ગયું…
(કાળિયાનું મ્હોંયે નથી જોવું… ફોટો: વેબ પરથી)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : પૌરવી દેસાઈ
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.
સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.
-મણિલાલ દેસાઈ
આમ તો ગીતમાં કશું નવું નથી, સદીઓથી ગવાતી આવેલી એ જ શ્યામની શ્વેતલ યાદ અને ગોપીની શાશ્વત ફરિયાદ… પણ તોયે એ બધી વાતો તો એવરગ્રીન જ રહે છે, ક્યાં કદીયે જૂની થાય છે! દરેક વખતે આ યાદ-ફરિયાદ અને દિલને ગમતાં પણ આંખોને (કહેવાતા) ખૂંચતા ઉજાગરાંનાં મધમીઠ્ઠા નખરાં- બધુંયે કાયમ સાવ નવું નવું જ લાગે છે ને…! ગોપીઓને તો ઘડીકમાં કૃષ્ણ કાળોયે લાગે, કામણગારો યે લાગે, કહ્યાગરો યે લાગે અને સાવ ખોટ્ટેખોટ્ટો આકરોયે લાગે… અને એવું તો લાગે જ, કારણ કે પ્રેમમાં તો એવુંયે થાય છે !
નટખટ કનૈયાનાં નખરાંઓ વિશે તો આપણે જાણીએ જ છીએ… પરંતુ અહીં ગીતમાં એ નટખટ-નખરાળાની સામે જ ગોપ-ગોપીઓએ કરેલાં નખરાં ખૂબ જ મજાનાં લાગે છે. કૃષ્ણનું કાલુંઘેલું બોલવું જ તો એમને ઘેલું ઘેલું કરે છે પણ તોય ‘અમને કંઈ પડી નથી’ ના નખરાં કરે છે. વ્યક્તિનાં નામની પાછળ ‘જી’ લગાડતા જ એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં એક આમન્યા અને મર્યાદા આવી જાય છે, જે અહીં ગોપ-ગોપીઓને બિલકુલ મંજૂર નથી. એમણે તો કૃષ્ણને ‘કાનુડો’ જ કહેવું છે, પછી ભલે ને એ નંદરાજાનો કુંવર કેમ ન હોય ! કારણ કે ‘કાનુડો’ શબ્દ સખત્વથી ભરપૂર છે અને આમન્યા એમને કૃષ્ણનાં સખત્વથી દૂર રાખે છે. આવી મર્યાદા રાખીને એમણે કૃષ્ણથી એટલા પણ દૂર નથી રહેવું. એમણે તો કૃષ્ણને પોતાનાં જેવા જ બનાવીને હારોહાર રાખવાં છે, અડોઅડ રાખવા છે. આપણે ય આવી જ રીતે ઘણીવાર આપણા પ્રિય મિત્રોને એમનું નામ ‘બગાડીને’ જ બોલાવતા હોઈએ છીએ ને… અને સાચું કહેજો, એવા ‘બગાડેલાં નામ’થી બોલાવવાની મજા પણ સાવ અનેરી હોય છે કે નઈં…?! (તમે જો કદી એમ કર્યું ના હોય મિત્રો, તો હવે પછી જરૂર કરી જો જો અને જો એમ કરવાથી તમને અનેરો આનંદ ન મળે, તો મને કહેજો… )
અમર ભટ્ટનું ‘શબ્દનો સ્વરાભિષેક’ નામનું આલ્બમ આજકાલ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. અમરભાઈએ આ આલ્બમમાં ૩૯ ગુજરાતી ગીતોનો સમાવેશ કુલ ચાર સીડીમાં કર્યો છે. બે સીડીની બધી રચનાઓને એમણે પોતાનો સ્વર આપ્યો છે જ્યારે બીજી બે સીડીની રચનાઓને ગુજરાતના ચુનંદા લોકપ્રિય ગાયકોએ સ્વર આપ્યો છે. આ આલ્બમની વિશેષ ધ્યાનાકર્ષિત બાબત એ છે કે દરેક સ્વરબદ્ધ રચના વિશે તેઓ પ્રથમ કવિ અને કવિની અન્ય રચનાઓ વિશે ભાવક સાથે વાર્તાલાપ કરે છે, જેથી દરેક રચનાને સાંભળવા પહેલાં જ ભાવકનો સેતુ કવિનાં ભાવજગત સાથે જોડાઈ જાય છે… અને એટલે સાંભળવાનો આનંદ પણ ઘણો વધી જાય છે. આ આલ્બમની સીડીનાં ગીતોનું લિસ્ટ આપ અહીં જોઈ શકો છો… અને વધુ માહિતી માટે એમની વેબસાઈટ પર પણ જઈ શકો છો.
(આવકારા દે’શું સાનમાં…!)
પ્રસ્તાવના, સંગીત અને સ્વર: અમર ભટ્ટ
આલ્બમ: સ્વારાભિષેક
રે’શું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલિયે,
રે’શું અમેય ગુમાનમાં હરિ સંગ નહીં બોલિયે. ઊર્મિસાગર.કૉમ ખોલીશું બારણા ને લેશું ઓવારણાં,
આવકારા દે’શું સાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
આસનિયાં ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
લાપસીયું ચોળશું ને વિંઝણના ઢોળશું,
મુખવાસા દે’શું પાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
મીરાં કહે અંતમાં, આ ભર વસંતમાં
જીવતર દઈ દે’શું દાનમાં, હરિ સંગ નહીં બોલિયે… રે’શું o
-રમેશ પારેખ
ર.પા.નું ગીત હોય અને એ થોડું નોખું-અનોખું ના હોય તો જ નવાઈ લાગે…! મીરાં વિશેની શ્યામ-સમર્પણ અને સૌમ્ય-ભક્તિની રચનાઓ તો ખૂબ જ જોવા મળે છે, પરંતુ આવી એમની નખરાળી-ભકિત જવલ્લે જ જોવા મળે છે. પ્રેમમાં બધું સમર્પણ કરવાની તત્પરતા છે, હરિની ભરપૂર સરભરા કરવાની તાલાવેલી છે, અને સાથે થોડી રીસ બતાવવાની ઘેલછા યે છે. જાણે કે ર.પા.એ અહીં મીરાંજીને સાવ રાધામય કરી દીધાં છે… અને પરિણામે આપણને મળ્યું છે, રાધા-ભાવવાળું એક અદભૂત મીરાં-કાવ્ય ! વળી, અમરભાઈનાં સંગીત અને સ્વરને લીધે એમાં વધુ નિખાર આવ્યો હોય એમ લાગે છે.
**આ મીરાં-કાવ્યની સાથે સાથે આ જ આલ્બમનું કવિ ઉશનસ્ નું એક મીરાં-ભાવવાળું કૃષ્ણગીત પણ ટહુકા પર માણો… માધો, મન માને તબ આજ્યો
નોંધ:ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) અને નરેન્દ્ર-શંકુતલા લાખાણી તરફથી ૯મી મે શનિવારે અમરભાઈનો સંગીતમય કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ ગોઠવવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ વિશેની વિગતે માહિતી તમે અહીંથી મેળવી શકો છો. આ કાર્યક્રમ માત્ર GLAનાં સભ્યો માટે જ મર્યાદિત છે. નજીકમાં રહેતા મિત્રોને જો GLAનાં આજીવન સભ્ય બનવામાં રસ હોય તો એ માટેનું ફોર્મ તમે GLAનાં બ્લોગ પરથી મેળવી શકો છો… એકવાર સભ્ય બન્યા પછી GLA દ્વારા આયોજીત આવા ઘણા કાર્યક્રમો તમે ભરપૂર માણી શકશો.
હોળી-ધુળેટીનાં રંગો કદાચ કપડાં પરથી તો થોડા થોડા ઊતરી ગયા હશે, પરંતુ મન-હૃદયમાંથી તો હજી નહીં જ ઊતર્યા હોય ! અને કોઈક રંગો તો કપડાં ફાટે તોયે ફીટે નહીં એવા પાક્કા હોય છે… અને એવા રંગો ઊતરવા માટે હોતાયે નથી. આજે આપણે પણ એવાં જ એક પાક્કા શ્યામ રંગથી થોડા થોડા રંગાઈ જવાનું છે…!
કહેવાય છે કે એક કવિનો જન્મદિવસ ઉજવવાની સાચી રીત એટલે કે એની કવિતાને માણવી. તો ચાલો મિત્રો, આજે આપણા વ્હાલા મિત્ર વિવેકનો જન્મદિવસ આપણે એનું જ એક ગીત માણીને ઉજવીએ… એનાં જ અવાજમાં ! ડૉક્ટરનો તો મને ખ્યાલ નથી, પરંતુ મારું માનવું છે કે ઉંમર વધે તોયે કવિ તો કોઈ દિવસ ઘરડાં થતાં જ નથી. એટલે કે ચિંતા ન કર દોસ્ત… તેં કેટલી મીણબત્તીઓ સળગાવી ? એવો અઘરો સવાલ હું તને આજે નહીં પૂછું… પ્રોમિસ ! જન્મદિવસની અઢળક હાર્દિક શુભકામનાઓ, પ્રિય દોસ્ત…!
(પોતીકા રૂપની આયને ઊભી…)
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?
“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!
સૌ મિત્રોને આજે શરદપૂર્ણિમાનાં શુભ દિવસે પૂનમની ચાંદનીમાં ભિંજાયેલી અને રાસે રમઝટતી શુભેચ્છાઓ…! અને સાથે સાથે તમને દૂધ-પૌંઆ તેમ જ ગરમાગરમ (ખાસ કરીને, મરચાંના) ભજીયા ખાવા મળે એવી શુધ્ધ હુરતી-શુભકામનાઓ…!!
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…
* * *
આ સાથે નવરાત્રિનાં પહેલા દિવસથી ચાલતી રહેલી ગરબા-રાસની આ રમઝટને હવે થોડો વિરામ આપીએ છીએ… (પૂર્ણવિરામ નહીં હોં) આપણું કાંઈ કે’વાય નઈં… ફરી ક્યારેક કોઈ પ્રસંગે આવી રમઝટ બોલાવી યે દઈએ… ત્યાં સુધી બસ આમ જ મળતા રહીશું, ફરીથી… રાબેતા મુજબ… અનિયમિતતાથી નિયમિત રીતે !!
આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.