ગાગરમાં સાગર

પ્રકીર્ણ


પ્રકીર્ણ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

"એક ખોબો ઝાકળ" : ર.પા. અને મરીઝનાં જીવનચરિત્ર પર આધારીત શોભિત દેસાઈ રચિત ગુજરાતી નાટક
शतम् जीवम् शरदः ।
सूर की कोई सीमा नहीं.(જાહેર આમંત્રણ)
અમર ભટ્ટ દ્વારા 'શબ્દનો સ્વરાભિષેક'... મારી સીટ પરથી !
ઊર્મિનો સાગર - નવું સરનામું...
કવિ ડૉટ કોમ
ગઈકાલની આ છોકરી શાયર બની ગઈ...
ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં
ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ
ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ મુંબઈમાં... હાલમાં રદ કરવામાં આવી છે!!
ચાલો ગુજરાત : વિશ્વ ગુજરાતી પરિષદ / World Gujarati Conference 2008
ઝાંઝરણું -સુંદરમ્
ન્યુ જર્સીમાં કવિ શ્રી અનિલ જોશીનો કાર્યક્રમ... (GLA દ્વારા)
ન્યુ જર્સીમાં શ્રી આદિલજીને ભાવાંજલિ
ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ...
મુક્તક અને ગઝલ (કાવ્યપઠન) - વિવેક મનહર ટેલર
લયસ્તરોને આજે બીજી વર્ષગાંઠે ખૂબ ખૂબ અભિનંદન!!
વંદે માતરમ્ - આજે શતાબ્દિ પૂરી કરે છે…
શ્રી સુરેશ દલાલની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક અનોખો અનુભવ... મારી સીટ પરથી!
સોલી-નિશા કાપડિયા દ્વારા 'ગમતાનો કરીએ ગુલાલ'... મારી સીટ પરથી!
સ્ટોપ પ્રેસ - મહેંદી હસનની મદદ માટે એક જાહેર ટહેલ…



મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા.  આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?………  અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…  :-)

આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

tahuko-award-pic1

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે.  હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.

સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

મિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે.  આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર ૧૭-૧૮-૧૯, ૨૦૧૦ દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય સંમેલનની જાહેરાત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે.  શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.

વધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:

  • સંમેલનનો પ્રાથમિક કાર્યક્રમ
  • સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ અને ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ
  • જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

    વધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

    પ્રિય મિત્રો,

    ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:

    “सरहद की दोनों ओर चहकता चमन रहे |”

    - આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર,  આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…

    આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…

    ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!

    - અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !

    (તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો અહીં જણાવવા વિનંતી)

    નોંધ : આ યાદીમાં માત્ર છંદોબદ્ધ કે માન્ય શૈલીમાં લખાયેલી કવિતાઓવાળા બ્લૉગ્સ જ સમાવવામાં આવ્યા છે.

    (પ્રથમવાર લયસ્તરો પર પબ્લીશ થયેલ પોસ્ટ)

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA)

    રજૂ કરે છે…

    આપણા જાણેલા અને માણેલા કવિ

    શ્રી અનિલ જોશી

    કવિતાનો શોખીન એવો કોણ ગુજરાતી હોઈ શકે  જેની આંખ આ કવિનું ગીત-કાવ્ય કન્યાવિદાય સાંભળીને ભીની ન થઈ હોય! જેણે એમનું લય પરનું સ્વામિત્વ અનુભવ્યું ન હોય! જેણે એમનાં ગીતો મારી કોઈ ડાળખીમાં પાંદડું નથી, મને પાનખરની બીક ના બતાવો  કે નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે સુગમ સંગીતકારોને ખૂબ જ પ્રેમથી ગાતાં સાંભળ્યાં ન હોય! કાઠીઆવાડના ગ્રામજીવનનો, ખાસ કરીને સ્ત્રી-સંવેદનાનો, સચોટ ચિતાર આપી શકનારા કવિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા આ કવિએ ગામ છોડ્યું છે, પણ ગામ છૂટ્યું નથી.
    -સુરેશ દલાલ


    એમના કવનનું વિશ્લેષણ વિદ્વાનો તો કરતા જ રહેશે,
    પણ કવિના સ્વમુખે એમનાં કાવ્યોનું પઠન અને એમના સર્જન વિષેની વાતો આપણે સાંભળીએ….

    દિવસ : શુક્રવાર, ઑગસ્ટ ૨૮, ૨૦૦૯

    સમય : સાંજે બરાબર ૭:૦૦ વાગે

    સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

    સંચાલન : રામ ગઢવી 

    સંપર્ક:

    રામ ગઢવી (૯૭૩) ૬૨૮-૮૨૬૯

    ગૌરાંગ મહેતા (૯૭૩) ૬૩૩-૯૩૪૮  
    જસવંત મોદી (૭૩૨) ૯૬૮-૦૮૬૭ 
     જયેશ શાહ (૯૭૩) ૮૧૨-૦૫૬૫
     

    Driving Directions to TV Asia Auditorium:
    (76 National Road , Edison , NJ - Phone : 732-650-1100)

    · NJ Turnpike to exit 10
    · Take I-287 North
    · Exit 2-B to Rte. 27 South
    · Past a couple of traffic lights, right on Talmadge Road
    · Go about ½ mile, turn right on National Road
    · About ¼ mile to TV Asia building on your left

    (સમયસર આવી જવા વિનંતી)

    * * *

    નોંધ:  

    ૧) આ કાર્યક્રમ માત્ર ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA)નાં સભ્યો માટે જ મર્યાદિત છે.  નજીકમાં રહેતા મિત્રોને જો GLAનાં આજીવન સભ્ય બનવામાં રસ હોય તો એ માટેનું ફોર્મ તમે GLAનાં બ્લોગ પરથી મેળવી શકો છો… એકવાર સભ્ય બન્યા પછી GLA દ્વારા આયોજીત આવા ઘણા કાર્યક્રમો તમે ભરપૂર માણી શકશો.

    ૨) શ્રી રામ ગઢવીએ એમનાં મિત્રો સાથે મળીને ઑગષ્ટની 30મી તારીખે રવિવારે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો એમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે એક અંગત કાર્યક્રમ રાખ્યો છે.  કાર્યક્રમમાં રસ ધરાવનાર નજીકમાં રહેતા અને જાણીતા મિત્રો રામકાકાનો સીધો સંપર્ક કરી શકે છે.

    વહાલી ઊર્મિને આજે ઊર્મિસાગર.કોમની ત્રીજી વર્ષગાંઠ પર સર્વ વાચકમિત્રો અને મારા પરિવાર તરફથી મબલખ મુબારકબાદી… शतम् जीवम् शरदः । ગુજરાતી નેટ-જગતનો પ્રારંભ થયો ત્યારે બહુધા એ શોખની કે ‘ટાઇમપાસ’ વસ્તુ હતી પણ જેમ જેમ આ કાફલામાં વધુ ને વધુ જોડાતા ગયા, આ અવાજ બળવત્તર બનતો ગયો. આજે એમ કહી શકાય કે નેટ-ગુર્જરી પ્રકાશિત સાહિત્યની સમકક્ષ થવાને આરે ઊભું છે અને હવે એ દિવસ દૂર નથી જ્યારે એ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે. નેટ-ગુર્જરીએ સાહિત્યની અસ્મત, અસ્મિતા અને અસ્કામત ત્રણેય જાળવી બતાવી છે. ખાસ તો વિદેશમાં વસતા ગુજરાતીઓને પોતાના ખોવાયેલ ગુજરાતીપણા સાથે એણે પુનઃસંધાન સાધી આપ્યું છે… ઘણા નોંધપાત્ર કિસ્સા એવા છે જ્યાં નેટ-ગુર્જરીએ ‘પોટેન્શ્યલ’ સાહિત્યકારને સાહિત્યકાર તરીકે જન્મ આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હોય, અને જન્મ આપવા પર્યંત એનું સંવર્ધન પણ કર્યું હોય…

    ઊર્મિને પણ આપણે નેટ-ગુર્જરીનું જ એક લાડલું, ખૂબ લાડલું સંતાન ગણી શકીએ !

    …અને એટલા માટે જ ઊર્મિસાગર.કોમની વધુ એક વર્ષગાંઠ, ૩૬૫ દિવસનું ગુજરાતી સાહિત્યપ્રદાનનું વધુ એક ચક્ર માત્ર ઊર્મિ માટે જ નહીં, પણ સમસ્ત નેટ-ગુર્જરી માટે એક સીમાચિહ્ન સિદ્ધિ બની રહે છે.

    urmisaagar-com-snapshots

    શ્વાસ-ઉચ્છ્વાસ, ક્રિયા-પ્રતિક્રિયા, ઘોષ-પ્રતિઘોષ જેમ પરસ્પર વિરોધી દિશામાં છતાં તાણા-વાણાની જેમ એકસૂત્રે અવિભાજ્યપણે ગુંથાયેલ હોય છે કંઈક એવી જ રીતે પ્રિયપાત્રની આવન-જાવનની પરસ્પર વિરોધી ઘટનાઓ ઉપર વિષાદ-હર્ષના વિરોધી ભાવ પર એક જ છંદમાં લખાયેલી ઊર્મિની બે ગઝલો - तेरे आने के बाद અને तेरे जाने के बाद - જે સહુએ વખાણી હતી એ સમાન સ્તર પર લખાયેલ પરસ્પર વિરોધી ભાવ છતાં એક જ ભાવવિશ્વને રજૂ કરતી બે ગઝલો વિશે વાત કરીશ.

    તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद.

    સમુદ્રના મોજાંની એકધારી આવ-જાથી જે સંગીત સર્જાય એ જ રીતે ‘ગાલગા- ગાલગા’ના આવ-જા કરતા આવર્તન વડે આ ગઝલ પણ એક નોખી મૌસિકી (સંગીત) જન્માવે છે. પ્રિયતમના ચાલ્યા જવાની વાત છે. આ વિષાદ ક્યાંય સ્થિર થવા દે એવો નથી. મન જાણે કે એક હિંચકા જેવું છે… સતત એક છેડેથી બીજે છેડે નિયત આંદોલન કરતું રહે છે, વચ્ચે થંભવું શક્ય નથી… વિષાદના ભાવને ઉજાગર કરવા માટે અહીં પ્રયોજાયેલ ‘ગાલગા’ના આવર્તનોવાળો છંદ કદાચ મનની આ અસ્થિર ગતિ અને ભાવને પણ તાદૃશ કરે છે… ‘તું નથી’ની વાત કવિ આખા ઉલા મિસરામાં ચાર-ચાર વાર કહે છે ત્યારે પ્રિયજનના ન હોવાનો વિષાદ ભાવકના હૈયામાં પણ ઘેરો બને છે અને ત્યાં જ કવિ તું જ બધે છે એમ કહીને જે ચોટ સર્જે છે એ ઉત્તમ કાવ્યતત્ત્વની નિશાની છે.

    તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
    ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

    -મિલનના ભાવને ઉજાગર કરતી પહેલી ગઝલના ભાગ બે જેવી આ મુસલસલ ગઝલ પણ એવી જ મજાની થઈ છે. જે છંદ પહેલી ગઝલમાં પ્રિયતમની ગેરહાજરીમાં વિષાદને સુપેરે વ્યક્ત કરવામાં મદદરૂપ થઈ પડતો હતો એ જ છંદ પ્રિયતમની હાજરીમાં થતી ખુશીના અતિરેકમાં સર્જાતી મનની આંદોલિત અને અસ્થાયી અવસ્થાને પણ બખૂબી આલેખે છે અને એ જ કવિની સફળતા છે.  અત્ર, તત્ર અને સર્વત્ર પ્રિયતમના હોવાને સ્વીકારી લેવાની અવસ્થાએ કવિને ભાન થાય છે કે આમાં તો ‘હું’ જ ખોવાઈ ગઈ છું. પણ ખોવાઈ જવાનો અહીં રંજ નથી. હારવામાં અહીં જીત છે અને એ આ શેરની અને સરવાળે આ ગઝલની ઉપલબ્ધિ છે…

    બીજું, આ બંને ગઝલોમાં પ્રયોગાત્મક ધોરણે હિંદી રદીફ વાપરવામાં આવી છે એ કાઢીને ગુજરાતી રદીફ મૂકીને વાંચવાની કોશિશ કરીએ ત્યારે સમજાય છે કે નહીં સાંધો-નહીં રેણના ન્યાયે જે રીતે હિંદી ભાષા અહીં ગુજરાતીમાં ભળી ગઈ છે એ સર્વથા ઉચિત જ છે કેમકે એક ભાષા બીજીમાં ભળે ત્યારે બીજીને સમૃદ્ધ જ કરે છે… ભાષા કદી લેતી નથી, એ દેતી જ હોય છે! અહીં હિંદી અને ગુજરાતી ભેગાં થવાથી નથી ગુજરાતી ભાષાની કિંમત ઓછી થતી કે નથી હિંદીનું ગૌરવ હણાતું… સરવાળે કવિતા સિદ્ધ થાય છે અને એ જ તો ભાષા આપણી પાસે માંગે છે…

    આ બંને ગઝલોની સર્જનપ્રક્રિયાનો હું ખૂબ નજીકનો સાક્ષી છું. આ બંને ગઝલ અંદરથી અવી છે… રજનીશના શબ્દોમાં કહું તો માણસે પોલા વાંસ થવાની જરૂર છે… પોલા વાંસ બની જવાય તો અંદરથી સંગીત આપમેળે રેલાય… આ ગઝલ આવી જ કોઈ એક અવસ્થામાંથી આવી છે…

    ફરી એકવાર ઊર્મિસાગર.કોમની વર્ષગાંઠ પર અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…

    -વિવેક ટેલર

    ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા શનિવારે (9 મે 2009) લાખાણી ઓડિટોરીયમ, ન્યુ જર્સીમાં શ્રી અમરભાઈ ભટ્ટનો ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામનો ખૂબ જ સુંદર એક સંગીતમય કાર્યક્રમ યોજાઈ ગયો. મિત્રો, આજે હું એ કાર્યક્રમની તમને થોડી વાતો કરું અને એની થોડી ઝલક પણ બતાવું.  ગુજરાતી સુગમ સંગીતમાં રસ ધરાવતાં મિત્રોને અત્યાર સુધીમાં તો અમરભાઈનાં ‘શબ્દનો સ્વરાભિષેક’ નામનાં આલ્બમ વિશે જરૂર જાણ થઈ જ ગઈ હશે.  એ જ આલ્બમનાં થોડા ગીતો આ કાર્યક્રમમાં અમરભાઈનાં મુખે જ પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો એમનાં એ આલ્બમ સાંભળવાથી જરાયે ઓછો ન્હોતો.  ખાસ ‘ગુજરાત લીટરરી એકેડમી’નાં સભ્યો માટે ગોઠવાયેલાં આ કાર્યક્રમમાં જેટલી ખુરશીઓ હતી એનાં કરતાં તો શ્રોતાઓ વધુ આવ્યા હતા.  ઘણા શ્રોતાઓ આગળ નીચે બેઠા હતા તો ઘણાએ પાછળ ઊભા પણ રહેવું પડ્યું હતું.  હું સમય કરતાં પોણો કલાક વહેલી પહોંચી ગઈ હતી એટલે અમરભાઈની સાથે ઓળખાણવિધી થયા બાદ સ્થાનિક કલાકારો ઉપરાંત એકેડેમીનાં અગ્રણી સભ્યો રામકાકા, નરેન્દ્રઅંકલ અને શંકુતલાઆંટી તેમ જ પન્નાઆંટી સાથે મસાલેદાર ચા પીવાની અને ગોટા ખાવાની મજા લેતાં લેતાં થોડી ગપસપ કરવાની તક પણ મળી.  બરાબર ત્રણ વાગ્યે પ્રોગ્રામ ચાલુ થયો.  મને પહેલી જ હરોળમાં ખાસ જગ્યા મળી હોવાથી વિડિયો-ક્લિપ્સ લેવાનું થોડી સરળ બન્યું હતું.  કાર્યક્રમની શરૂઆતમાં રામકાકાએ અમરભાઈ અને અન્ય સ્થાનિક કલાકારોની ઓળખાણવિધી કરી.

    p1060729-sml

    સૌપ્રથમ અમરભાઈએ એક પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી. સાત વર્ષ બાદ ફરીથી ન્યુ જર્સીમાં આવવાની અનેરી ખુશી પ્રગટ કર્યા બાદ એમનાં પ્રિય જૂનાગઢનાં કવિ  શ્રી મનોજ ખંડેરિયા અને એમની કવિતાઓની થોડી વાતો કરી એમની સુંદર ગઝલ ‘જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે’ સંભળાવી.  પછી એમણે રમેશપારેખનું ‘એફિડેવીટ’ વાંચી સંભળાવી કવિ મકરંદ દવેનું પુત્રીજન્મનાં વધામણા અંગેનું ખૂબ જ સુંદર ગીત જે એમણે જનની રે જોડ સખી નહીં જડે રે લોલ’ નાં ઢાળમાં લખ્યું છે, એ જ ઢાળમાં અમરભાઈએ પણ ખૂબ જ સરસ એનું સ્વરાંકન કર્યું છે એ સંભળાવ્યું.  ’પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ’ આ ગીતને ‘શબ્દનો સ્વરાભિષેક’ માટે કેમ પસંદ કર્યુ એનાં સંદર્ભમાં તેઓ જણાવે છે કે આજકાલ ગુજરાતમાં ‘પુત્રી બચાવો’ની ઝુંબેશ ખૂબ જ ચાલે છે ત્યારે આ ગીત દ્વારા તેઓ પુત્રીરત્નનું મૂલ્ય સમજાવતો એ જ અમૂલ્ય સંદેશ લોકો સમક્ષ કાવ્યાત્મક રીતે સુંદર અને અસરકારક રીતે પહોંચાડી શકશે એવું માને છે.  કાર્યક્રમમાં વચ્ચે વચ્ચે અદમ ટંકારવીનાં ગુજલીશ શેરોનું પઠન કરી ક્યારે અમરભાઈ શ્રોતાઓને થોડા હસાવીને હળવા પણ કરી લેતા હતા તો ક્યારેક  રમેશ પારેખની સંવેદનશીલ કવિતાઓની પંક્તિઓથી શ્રોતાઓને ભાવવિભોર પણ કરી દેતા હતા.

    p1060736-crop-sml

    અમરભાઈએ મરીઝસાહેબની ગઝલ ‘જીંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી’ સંભળાવ્યા બાદ ફોરમબેને ઉમાશંકર જોષીનું ‘કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી’ ગીત ગાયું, જે કદાચ તેઓ હજી વધુ સારી રીતે ગાઈ શકત એમ મને લાગ્યું.  ત્યારબાદ દર્શનાબેને જોગ રાગમાં ગવાયેલું અમરભાઈનાં જ સ્વરાંકન અને સંગીતવાળું વિનોદ જોશીનું એક ગીત ‘સખી ! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢાલિયો’ (યુટ્યુબ લિંક) સંભળાવ્યું.  આ ગીત જોગ રાગમાં છે એવું પણ જ્યારે એમણે જણાવ્યું ત્યારે જ મને ખબર પડી.  શાસ્ત્રીય સંગીતની સમજ અને લીધેલી તાલીમને લીધે જ કદાચ દર્શનાબેને એ ગીતને ખરેખર ખૂબ જ મોહક રીતે ગાયું.  ગીતની નાયિકાની સંવેદનાઓને તેઓ સફળ રીતે પોતાના અવાજમાં વણી શક્યા હોય એમ લાગ્યું. ત્યારબાદ જનાબ આદિલ મંસૂરીની ઘણી લોકપ્રિય ગઝલ “દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયાં” (યુટ્યુબ લિંક) પણ એમણે સંભળાવી. આ પ્રસંગે આદિલભાઈની ગેરહાજરીની જાણે દુ:ખતી રગ દબાવતાં હોય એમ દર્શનાબેને એમને યાદ કર્યા અને એમનાં એકાએક ચાલ્યાં જવા પર દુ:ખ પ્રગટ કર્યુ.  સાથે જ એમણે આદિલભાઈનાં સાંનિધ્યની મીઠી પળોને પણ મમળાવી કે જ્યારે જ્યારે તેઓ મિત્રો સાથે ભેગા થતા ત્યારે ત્યારે આદિલભાઈ આ ગઝલ એમની પાસે અચૂક ગવડાવતા હતા.  જયેશભાઈએ ’તારો છેડલો તું માથે રાખને જરા, આતો ચૈતર-વૈશાખનાં વાયરા ગીત સંભળાવ્યા બાદ તૃપ્તિબેન રમેશ પારેખનું ગઢને હોંકારો તો કાંગરાયે દેશે’ સંભળાવે એ પહેલા અમરભાઈએ ફરી ગીતનાં કવિ ર.પા. વિશે વાતો કરીને ભાવકોને મધુરું ભાવવિશ્વ પહેલેથી જ રચી આપ્યું.  અનીલ જોશીનું એક ગીત કે જેને કદાચ લોકગીત કહી શકાય એ કક્ષાનું મજાનું પ્રખ્યાત ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા’ સ્વાતિબેનનાં કંઠે સાંભળવાની મજા આવી.  એમની સાથે મળીને અમરભાઈએ પન્નાઆંટીનું એક વસંતી જુગલ-ગીત પણ સંભળાવ્યું - ‘ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું’.  જ્યારે અમરભાઈએ રાજેન્દ્ર શુક્લનું અવધૂતી ગીત અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી’ આલાપ્યું ત્યારે તો જાણે હાલમાં અમારે ત્યાં પૂર બહારમાં મ્હોરેલી વસંતની એમણે સાચે જ ઉજવણી કરી દીધી હોય એમ લાગ્યું.

    [youtube]http://www.youtube.com/watch?v=wnIs2ggB21M[/youtube]

    અમરભાઈની સાથે…
    ગાયકવૃંદ: દર્શના ઝાલા, ફોરમ શાહ, તૃપ્તિ પરીખ, સ્વાતિ ગીર્ગલાણી, જયેશ શાહ
    વાદ્યવૃંદ: તાલ-દિપક ગુંદાણી, મેંડોલીન-હરીશ ટેઈલર

    મધ્યાંતર પડે એ પહેલાં પન્નાઆંટીનાં ‘વિદેશિની’ સંગીત-આલ્બમનું વિમોચન શકુંતલાઆંટી દ્વારા કરવામાં આવ્યું.  અને આટલું પત્યું એટલે તો પડી ગઈ… ચાય પીવા માટેની બ્રેક !  :-)

    ચા પીને શ્રોતાઓ ફરી તાજામાજા થઈ ગયા ત્યારે મનોજ ખંડેરિયાની ‘રહસ્યોની ગુફામાં જે નિસરવું આવ્યું નહીં’ ગઝલથી અમરભાઈએ કાર્યક્રમ આગળ વધાર્યો.  આખા કાર્યક્રમમાં મને સૌથી વધુ જો કંઈ ગમી ગયું હોય તો કવિ મકરંદ દવેની પ્રાર્થના ‘સૌંદર્યનું ગાણું મારે મુખે હજો’ હતી. એમની એ પ્રાર્થના બાદ એમનું જ એક સુંદર ભજન ‘વજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે’ પણ એટલી જ સુંદર રીતે એમણે સંભળાવ્યું.  ફરી એકવાર સ્થાનિક કલાકાર ફોરમબેને માધવ રામાનુજનું ‘અંદર તો એવું અજવાળું, અજવાળું’ સરસ રીતે ગાયું.  અમરભાઈએ જણાવ્યું કે જેમ કંઈક નવું હોય એને સૌપ્રથમ મહાદેવજીને ચડાવવામાં આવે એવી જ ‘શબ્દસૃષ્ટિ’નાં એક અંકમાં વાંચતાવેંત એમને ખૂબ જ ગમી ગયેલું કવિ શ્રી મનોહર ત્રિવેદીનું એક ગીત તો પપ્પા, હવે ફોન મૂકું?‘ તેઓ શ્રોતાઓને મહાદેવજી ગણીને સૂરમાં મઢીને ચડાવશે..! :-)  અને પછી તો એ ગીતને સ્વર આપવાનો એમનો પ્રથમ પ્રયાસ હોવા છતાં એ સાંભળવાની સાચે જ ખૂબ મજા આવી.  (અમરભાઈની સંમતિ મળશે તો એ ગીત જરૂરથી તમને પણ કોકવાર સંભળાવીશ મિત્રો!)

    p1060732-sml

    પછીની બે ગઝલ માણવાની પણ મને ખૂબ જ મજા પડી, ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની ‘સામાયે ધસી જઈએ, આઘાયે ખસી જઈએ’ અને ખાસ કરીને શ્રી મનોજ ખંડેરિયાની ‘ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા’.  કવિ સુધીર દેસાઈનું સુંદર ગીત ‘વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ, એને બોલું તો કેમ કરી બોલું?‘ તૃપ્તિબેને સંભળાવ્યું. સ્વાતિબેન દ્વારા ગવાયેલું અનિલ જોશીનું ગીત ‘હું તો નીકળી ગઈ મારી તલાશમાં, સાત પગલાં આકાશમાં’ શ્રોતાઓને એટલું ગમ્યું કે એ વંસમોર થયું અને સ્વાતિબેને ફરી મેદાનમાં આવીને એક અંતરો શ્રોતાઓને ગાઈ સંભળાવ્યો.  એ ગીત કવિ અનિલ જોશીએ કુંદનિકા કાપડિયાનાં ઘણાં લોકપ્રિય ‘સાત પગલાં આકાશમાં’ પુસ્તક પર આધારીત ગુજરાતી ટીવી સિરિયલ ‘સાત પગલાં આકાશમાં’ માટે થીમ-સોંગ તરીકે લખ્યું હતું.  છેલ્લે પૂર્ણાહૂતિનો સંકેત કરતાં ભૈરવી રાગમાં ઘાયલસાહેબની ગઝલ “ટપકે છે લોહી આંખથી પાણીનાં સ્વાંગમાં ” અને રમેશ પારેખનું ખૂબ જ સુંદર એવું મારું પ્રિય મીરાં-ગીત ’ રે’શું અમેયે ગુમાનમાં હરી સંગ નહીં બોલીએ ‘ ગાઈને અમરભાઈએ આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી.  આખા કાર્યક્રમમાં સ્વરબદ્ધ રચનાઓ રજૂ કરવા પહેલા એની પ્રસ્તાવનારૂપે અમરભાઈએ કરેલી વાતો સાંભળવાની શ્રોતાગણને ખૂબ જ મજા આવી હતી.

    કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એકેડેમીનાં સભ્યો અને બધા કલાકારો સાથે રાત્રે ડિનર લીધા બાદ એક સંગીતમય યાદગાર સંધ્યાનું સુખદ સ્મરણ લઈ અમે સૌ છૂટા પડ્યાં.

    અસ્તુ.  (આશા છે કે તમે પણ આ કાર્યક્રમ મારા જેટલો નહીં, પણ કમ સે કમ થોડોઘણો તો જરૂર માણ્યો હશે! :-) )

    ખાસ નોંધ:

    1) અમેરિકામાં અમરભાઈની આ 2009ની મુલાકાતનાં અન્ય કાર્યક્રમો વિશેની માહિતી અહીંથી મળી શકશે.

    2) અમેરિકામાં રહેતા ગુજરાતી સાહિત્ય સર્જકોને ખાસ જણાવવાનું કે ‘ગુજરાત લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા’ દ્વારા પ્રગટ થતાં દેશવિદેશનાં આ વર્ષનાં અંક માટે આ વખતનાં આમંત્રિત-સંપાદક શ્રી પ્રિતમ લખલાણીને તમે તમારું ગદ્ય કે પદ્ય એમનાં ઘરનાં સરનામે મોકલી શકો છો.  એમની ખાસ વિનંતી છે કે બધા સર્જકોએ એમની રચનાઓ એમને માત્ર પોસ્ટથી જ મોકલવાની રહેશે, ઈમેલથી નહીં. અને બની શકે તો એમને સત્વરે (દશેક દિવસમાં) જ મોકલી આપશો.  તમારી રચનાની પસંદગી થશે કે નહીં, એ વાતનો આધાર આમંત્રિત-સંપાદક અને સંપાદક શ્રી અશોક મેઘાણી ઉપર રહેશે.

    રચના મોકલવા માટેનું સરનામું:
    Preetam Lakhlani
    65, Falcon Drive
    West Henrietta, NY 14586
    U.S.A.

    Mehdi Hassan_card

    પ્રિય મિત્રો,

    થોડા દિવસો પહેલાં શહેનશાહ-એ-ગઝલ જનાબ મહેંદી હસનની નાદુરસ્ત તબિયત અને એથીય વધુ નાદુરસ્ત આર્થિક પરિસ્થિતિની વાત કરી અમે જાહેર અપીલ કરી હતી કે એમના હૉસ્પિટલ બીલ પેટે ચૂકવવાના બાકી નીકળતા રૂ. પાંચ લાખમાંથી જેટલી રકમ ભેગી કરી શકાય એટલી ભેગી કરી પાકિસ્તાન પહોંચતી કરીએ. નેટ પર અને યાહૂ ગ્રુપ્સ પર મૂકેલી આ ટહેલ સામે કેટલાકે જાતિવાદી વિરોધ નોંધાવ્યો તો કેટલાકે પાકિસ્તાન સામે તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. અમે અમારા દિલને અનુસર્યા અને એમને પણ એમ જ કરવા કહ્યું. અમારે મન હિંદુ-મુસ્લિમ-શીખ જેવી જાતિભેદની ભાવના મનમાં જન્માવવી શક્ય નહોતી તો મહેંદી હસન જેવી વિરાટ હસ્તી માટે ભારત-પાકિસ્તાન નામના વાડા બાંધવા પણ શક્ય નહોતા કેમકે અમે માનીએ છીએ કે “सूर की कोई सीमा नहीं”…

    આપને વિશ્વાસ નહીં આવે પરંતુ જોતજોતામાં ઢગલાબંધ મિત્રો તરફથી લગભગ સવા લાખ રૂપિયા જેવી મોટી રકમ ભેગી થઈ ગઈ અને સુરત ખાતે યોજવામાં આવનાર કાર્યક્રમમાં બીજા બેએક લાખ રૂપિયા ભેગા થવાની આશા હતી… નસીબજોગે કરાંચીની આગાખાન યુનિવર્સિટી હૉસ્પિટલ ખાતે ફોનથી વાત કરતાં અને નેટ ઉપર પાકિસ્તાનના અગ્રણી અખબારોમાં આવેલા સમાચાર પરથી જાણવા મળ્યું કે સરકાર અને હૉસ્પિટલ તરફથી ખાંસાહેબની સારવારની પૂરી કાળજી લેવાઈ ચૂકી છે. એટલે જે મિત્રોએ મહેંદી હસન સહાયતા નિધિ માટે મદદ કરવાનું વચન આપ્યું હતું એ સહુ મિત્રોનો હૃદયપૂર્વક અને સંગીતપૂર્વક ખાસ ખાસ આભાર માનીને અમે જણાવીએ છીએ કે હવે આપે કોઈ ધનરાશિ મોકલવાની રહેતી નથી.

    પોતાના દિવ્ય સંગીત અને જાદુઈ અવાજના રંગોથી જેમણે આપણા જીવનની અનેક સંધ્યાઓ રંગીન બનાવી છે એ ખાંસાહેબના જીવનની આખરી અને રંગહીન સંધ્યામાં આપણે સાચા દિલની દુઆના થોડા રંગ ભરી શકીએ એવા અંદરના અને અંતરના અવાજને અનુસરીને અનેં સંગીત કે કળાની કોઈ સરહદ હોતી નથી એ કાયદા મુજબ ગુજરાતી કવિતાની સહુથી વિશાળ વેબસાઈટ - લયસ્તરો.કોમ - www.layastaro.com તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈંડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આ ફિનોમિનલ ગાયકના નિરામય સ્વાસ્થ્યની દુઆ કરવા માટે છઠ્ઠી એપ્રિલ, સોમવારે રાત્રે ગાંધી સ્મૃતિ ભવનમાં એક સદભાવના સંગીત મહોત્સવ – “ सूर की कोई सीमा नहीं ” યોજવામાં આવ્યો છે.

    આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો ભાગ લેશે. મુંબઈથી વિકાસ ભાટવડેકર, અમદાવાદથી અનિકેત ખાંડેકર તથા રાજકોટથી ગાર્ગી વોરા મહેંદી હસને ગાયેલી ગઝલો રજૂ કરી આ ગાયક કલાકારના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરશે. કાર્યક્રમનું સંચાલન ડો. રઈશ મનીઆર, ડૉ. મુકુલ ચોક્સી અને ડૉ. વિવેક ટેલર કરશે.

    આ કાર્યક્રમ માણવા માંગતા સંગીતપ્રેમીઓને કાર્યક્રમના નિઃશુલ્ક પાસ મેળવવા માટે ‘લયસ્તરો.કોમ’ વેબસાઈટના સંચાલક ડૉ. વિવેક ટેલર, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ (9824125355)નો સંપર્ક કરવા જાહેર વિનંતી છે.

    mehadi hassan_news

    (ગુજરાત મિત્ર….                                          …તા.: 03-04-2009)

    *

    Mehdi Hassan_news2

    (દિવ્ય ભાસ્કર…          …તા.: 04-04-2009)

    Mehdi Hassan

    (ટાઈમ્સ ઑફ ઇન્ડિયા…                                    …તા. 25-03-2009)

    ‘વૉઈસ ઑફ ગોડ’ તરીકે લતા મંગેશકરે જેમને નવાજ્યા હતા એ વીસમી સદીના શાસ્ત્રીય ગઝલોના બેતાજ બાદશાહ એવા ભારતીય મૂળના પાકિસ્તાની ગઝલ ગાયક જનાબ મહેંદી હસનની તબિયત આજે શરીર અને પૈસા- બંને દૃષ્ટિએ સાવ કથળી ચૂકી છે અને એમની સારવાર પેટે ખાનગી હૉસ્પિટલને ચૂકવવા માટે એમના કુટુંબીજનો પાસે આજે પાંચ લાખ રૂપિયા પણ નથી એવો અહેવલ ગઈકાલના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં આવ્યો છે. ક્યારેક જેમની ગઝલો પર લાખો ઝુમી ઊઠતા હતા એવા આ મહાન ગાયકને મદદ કરવા માટે ગુજરાતી બ્લૉગ જગત તરફથી અમે જાહેર ટહેલ નાંખીએ છીએ….

    આજ સુધીમાં કેટલાય સાહિત્યકારો અને કળાકારો બિમારી સામે લડવા માટેના નાણાંના અભાવે આપણે અકાળે ગુમાવ્યા છે… આવા નગુણા, બેકદરદાન ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થતું રોકવા માટે આપ સહુને યથાશક્તિ આગળ આવવા અમારી આ જાહેર આહલેક છે….

    આપના તરફથી મળેલ દરેકેદરેક પૈસાનો જાહેરમાં આપને હિસાબ આપવામાં આવશે. આપે મદદનિધિમાં સહાય શી રીતે મોકલાવવી એની વિગતો સત્વરે આપને પહોંચાડવામાં આવશે. કવિશ્રી ડૉ. મુકુલ ચોક્સીની નિગેહબાની હેઠળ અમે સતત કાર્યરત્ છીએ. હાલ પૂરતું આપ આપનું નામ, સરનામું, ટેલિફોન નંબર સાથે આપ કેટલી સહાય કરવા માંગો છો એ અમોને ઇ-મેઈલ દ્વારા નોંધાવી શકો છો:

    જયશ્રી ભક્ત પટેલ - shree49@gmail.com

    ઊર્મિ - urminosaagar@yahoo.com

    ડો. ધવલ શાહ - mgalib@gmail.com

    ડો. વિવેક મનહર ટેલર - dr_vivektailor@yahoo.com

    Mehdi Hassan_2

    (ટાઈમ્સ ઑફ ઇન્ડિયા…  …તા. 27-03-2009)

    અત્યાર સુધીમાં જાહેર થયેલ મદદની રકમની માહિતી:

    ડૉ. મુકુલ ચોક્સી, સુરત                              રૂ. 11000/=

    ડૉ. નીરવ શાહ, સુરત                                 રૂ. 5000/=

    ડૉ. તીર્થેશ મહેતા, સુરત                             રૂ. 5000/=

    ડૉ. વિવેક ટેલર, સુરત                                 રૂ. 5000/=

    કેદાર જાગીરદાર, સુરત                              રૂ. 5000/=

    ડૉ. કેતન દેસાઈ, સુરત                                રૂ. 5000/=

    ડૉ. પ્રફુલ દોશી, સુરત                                  રૂ. 5000/=

    ડો. ધવલ શાહ, અમેરિકા                             રૂ. 5000/=

    શિવાલી પટેલ                                               રૂ. 1001/=

    કિરણ પંડ્યા, સુરત                                       રૂ. 5000/=

    સંદીપ ઠાકોર                                                  રૂ. 10000/=

    અનામી, (ટોરોંટો, કેનેડા)                            રૂ. 5000/=

    જયશ્રી ભક્ત, અમેરિકા                                 રૂ. 5000/=

    નીરવ પંચાલ                                          રૂ. 2500/=

    ભાવના શુક્લ, અમેરિકા                         $. 50/=

    હરીશ બજાજ, સુરત                                રૂ. 5000/=

    ધનંજય દેસાઈ, સુરત                               રૂ. 11,000/=

    જનક નાયક, સુરત                                  રૂ. 10,000/=

    દેવેન મોદી                                                રૂ. 1,000/=

    દેવેન્દ્ર ગઢવી, યુ.કે                                 £50/=

    નવિન વોરા, યુ.એસ.                             $50/=

    આરાધના ભટ્ટ, ઓસ્ટ્રેલિઆ                     રૂ. 5000/=

    ડો. ગિરીશ શાહ, સુરત                             રૂ. 15,000/=

    ભરત એટોસ, પાલનપુર                            રૂ. 1000/=

    મિત્રો, સખેદ જણાવવાનું કે મુંબઈનાં આંતકવાદી હુમલાની લીધે આ પરિષદને હાલમાં રદ કરવામાં આવી છે, જેની મને પણ હમણાં જ જાણ થઈ…  આપણે સૌ પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ પરિષદ ફરીથી શક્ય બને અને આ પ્રકારની પરિષદોને આ રીતે એને રદ કરવી પડે એવી સ્થિતિ કદી ન આવે…!!!

    જય ગુર્જરી !

    ———————————-

    બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત પ્રમુખ શ્રી હેમરાજ શાહનાં નેતૃત્વ હેઠળ મુંબઈને આંગણે મળનારી ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ… જાન્યુઆરી 16-17-18 2009.

    વિશ્વ ગુજરાતી સમાજ પ્રેરિત અને બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત મુંબઈને આંગણે અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ત્રણ દિવસ માટે તારીખ 16, 17 અને 18 જાન્યુઆરી 2009નાં રોજ આજની અને આવતી કાલની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે. આ ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ પ્રસંગે વિશ્વનાં ઘણા ગુજરાતીઓ એક મંચ ઉપર ભેગા થશે.

    અત્રે જણાવવાનું કે પ્રથમ વિશ્વ ગુજરાતી પરિષદ 1989માં અમદાવાદમાં, દ્વિતીય પરિષદ 1996માં મુંબઈમાં અને તૃતિય પરિષદ 1999માં વડોદરામાં થઈ હતી. અને હવે ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદ ફરીથી મુંબઈમાં આવી રહી છે.

    આંખ અને અંતર હરખાઈ ઉઠે એવા રોજ ત્રણ દિવસ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ બુદ્ધિને જાગૃત કરે અને હૃદયને પ્રેરણા આપે એવા આપણા રોજબરોજના જીવનને સ્પર્શતા વિષયો પર પરિસંવાદ યોજવામાં આવશે જેવા કે, માતૃભાષાનું ભવિષ્ય, મરાઠી-ગુજરાતીનો નાતો અને સંબંધ-ઈતિહાસ અને સંસ્કૃતિ-વ્યાપાર અને ઉદ્યોગ, આર્થિક વિકાસની વિસ્તરતી ક્ષિતિજો, દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓના સામાજિક અને સાંસ્કૃતિક પ્રશ્નો, વગેરે…

    બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ કે વિશ્વ ગુજરાતી સમાજનાં સભ્ય માટે ડેલીગેટ ફી રૂ/- 500
    બિન સભ્યો માટે ડેલીગેટ ફી રૂ/- 1000

    પરિષદનું સ્થળ: અંધેરી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અંધેરી - પશ્ચિમ, મુંબઈ

    આમંત્રણ પત્રિકા માટે સંપર્ક:
    બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ - રેખા પ્રકાશન,
    41 કરેલવાડી, ઠાકુરદ્વાર, મુંબઈ - 400002
    ફોન:
    2208 8936 / 2205 4551
    ઈમેલ: rekha@bom3.vsnl.net.in

    પ્રિય હેમરાજ અંકલ અને બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજને ચતુર્થ વિશ્વ ગુજરાતી પરિષદની બૃહદ્ સફળતા માટે મબલખ અને બૃહદ્ હાર્દિક શુભેચ્છાઓ…!

    વધુ માહિતી માટે અહીં વાંચો…!

    * If you can't see Gujarati click here
    * Read this blog in
    हिन्दी (देवनागरी) OR English (ROMAN)