વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.
-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી
શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.
નોબૅલ પારિતોષિક વિજેતા શ્રી રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની એક કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમવાર ડિસેમ્બર ૨૮, ૧૯૧૧ ના દિવસે ઈંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને ૨ જાન્યુઆરી, ૧૯૪૭નાં દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક પહેલી તથા છેલ્લી કડી ને ૨૦ સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.
(સૌજન્ય: વિકિપિડિયા)
યુ-ટ્યુબ પર ફરતા ફરતા બીજી એક ખૂબ જ દુર્લભ ક્લિપ મળી… no words for it, except- SIMPLY AMAZING!! અમેરિકા-શિકાગોમાં સપ્ટેમ્બર 11, 1893નાં રોજ ભારત વિશે સ્વામી વિવેકાનંદનું પ્રવચન… આજના દિવસે ખાસ માણવા જેવું.
સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.
વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
કેટલાંય વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત;
વેશ મહીં નવાનવા એથી તો હસી દે ધરતીની ધૂળનો ઉમંગ!
કાજળડે કોડ કેવા કોળે કે છલકે છે આપમેળે રૂપાળી ડાળ;
લાગ્યો છે એવો ને એવો પરશ અંતરમાં ડે રસાળ.
મ્હોરી ઉઠે છે મારો આખો અવતાર એવી અમરતની વાણી અનંત!
કેટલાંય વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત!
વારંવાર આનંદે પુલકે છે અંગ, કોની જાગે છે પ્રાણ મહીં માયા?
વણગાયાં ગીત આજ ઊમટે છે કંઠમાં, કોણે પીયૂષ એવાં પાયાં?
કોમળ કૈં કળી કળી ફૂટે છે ગીતની ને વેરે છે વનમાં સુગંધ!
કેટલાંયે વ્હાલ થકી આલેખે ધૂળ પર પોતીકાં ગીતને વસંત!
-રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ: સુરેશ દલાલ)
કવિઓના કવિ ટાગોરની કવિતામાં વસંતનો વૈભવ છે અને પ્રથમ વર્ષા વખતે ધરતીની જે સોડમ આવે એ સુગંધ છે. ટાગોરે જેટલું લખ્યું છે એટલું વાંચવા માટે કે સમજવા માટે એક આયુષ્ય ઓછું પડે. એમની કલમને ગીતના લય સહજ છે. આશય અને અભિવ્યકિત એમની નોખી-અનોખી રહી છે. ભલે એ વાત વસંતની કરતાં હોય પણ એ વસંતની સાથેસાથે યૌવનની વસંતનો પણ સંકેત આપતા રહે છે. વસંતની હવા જ જુદી હોય છે. રંગરાગ અને પરાગની સૃષ્ટિ, કેસૂડાનું વર્ચસ્વ, ફૂલોનો વૈભવ, ધરતીની ધૂળ જાણે કે અબીલગુલાબ અને કંકુ થઈ જાય. વસંત પોતે જ ધરતીની ધૂળ પર નર્યા વહાલથી પોતાના ગીતને આલેખે. આ પ્રેમની શકિત છે. પ્રેમને કારણે ધૂળ પોતે પણ સુગંધિત થઈ જાય. આખી સૃષ્ટિ જાણે કે કળી અને કૂલના સ્મિતથી હસી ઠતી હોય અને એના સ્મિતમાં ધરતીનો ઉમંગ છલકાતો હોય… (વધુ આગળ સુ.દ. દ્વારા આ ગીતનો આસ્વાદ અહીં વાંચો: દિવ્ય ભાસ્કર- હયાતીનાં હસ્તાક્ષર )
(ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની… ફોટો: વેબ પરથી)
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાંખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેંક દિવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબહારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે!
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
- હિતેન આનંદપરા
(સૌજન્ય: વેબમહેફિલ.કોમ)
વસંત ક્યારેક ટેહૂક ટેહૂકની સવારી પર વાજતે ને ગાજતે આવે છે તો ક્યારેક કોઈ બંધ પરબિડીયામાં છાનીમાની પણ આવે છે. વિખરાઈ ગયેલી અતૃપ્ત ઝંખનાઓના ફરી મળવાની ઘટનાને પણ વસંત જ કહેવાય ને !
કોકિલ, પંચમ બોલ બોલો
. કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
. લાગ્યો જ્યાં એક વાયુઝોલો -
. કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
. કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
. આછો મકરંદ મંદ ઢોળો
. કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
. કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
. ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
. કે પંચમી આવી વસંતની.
આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.
۞ Disclaimer : This blog is not for any commercial purposes.
The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.