પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે
એમ સ્પર્શે પવન તારી યાદનો.
રોમરોમ આજ મારા પુલકિત થઈ રાચતા આંખોથી છલકાતા ગીતે,
હૈયાનાં ધબકારા થનગનતા નાચતા તારી સોહામણી પ્રીતે;
બાગમાં ઘૂમ્યાં ને ખેતરમાં ઘૂમ્યાં ને પોંકની મીઠાશને મેં પીધી,
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં હૂંફાળી ઓથ તારી લીધી.
ઝરમર વરસાદમાં પલળ્યાંની વેળ હજુ મહેંક્યાં કરે છે આજ એવી,
તેં દીધેલી વાત મેં સાચવી રાખી, નથી મારે એ કોઇને રે દેવી;
સાથે મળીને જે બાંધ્યો છે પુલ એ છે તારા ને મારા વિશ્વાસનો,
જન્મોજનમનો આ ઋણાનુબંધ, નથી કેવળ સંબંધ અહીં શ્વાસનો.
-મેઘબિંદુ
માટીને સ્પર્શતો પહેલો વરસાદ સાવ ઘેલો હોય છે… અને માટી સાથે મિલન થતાં જ વાતાવરણમાં એ સૌના હૈયાને માદક કરી દેતી સુગંધ અને તાજગી પ્રસરાવી દેતો હોય છે. પ્રિયજનનાં વિરહમાં આવતી એની યાદનાં પવનનો સ્પર્શ પણ જો માટીને સ્પર્શતા એ પહેલા વરસાદ જેટલી જ શાતા અને સુગંધી અંતરને બક્ષતો હોય તો એવો વિરહ પણ વ્હાલો જ લાગે, અને એવા વિરહને તો હસતાં હસતાં વારંવાર સહેવાનું મન થાય…!
દેશમાં હવે ચોમાસું તો આવી ગયું છે પણ હજી બરાબર જામ્યું નથી. અહીં પણ છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ખૂબ જ વરસાદ આવ્યા કરે છે, ત્યારે જાણે અહીં પણ ચોમાસું જ આવી ગયું હોય એમ જ લાગ્યા કરે છે. તો મને જરા મન થઈ ગયું કે એ ધોધમાર ચોમાસું અહીં પણ કેમ ના લાવી શકાય ?! વળી, જૂલાઈ માસ એમેય મારા માટે જરા વધારે ખાસ જ છે! તો મિત્રો, આ આખો મહિનો આપણે ચોમાસાની લીલી-લીલી, ભીની-ભીની, જૂની-જૂની કે નવી-નવી મજા ખૂબ જ મસ્તીથી માણીએ…!
(તારો સાજન શ્રાવણ આવે રે…)
ધરા જરી ધીમી થા ! આટલી અધીર કાં?
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!
ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાં
તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે!
શ્રાવણનાં આવવા પહેલાની આતુરતાથી હવે અધીરી બનેલી ધરાને કવિ કેવું મજાનું આશ્વાસન આપે છે… અવિનાશભાઈનું આ ગીત અને સંગીત સાંભળીને તો વાદળોમાં ગગળાટ કરીને ધરાને ખીજવતો પેલો મેહુલોય જો ધોધમાર વરસી ન પડે તો જ નવાઈ…!
મિત્રો, ગયા સપ્ટેમ્બરમાં ભૂલથી તુષારભાઈની વર્ષગાંઠ એમનાં જ એક ગીત એને પીડા કહું કે કહું પ્રેમ? થી આપણે ઉજવી નાંખેલી… :-) અને પછી જયશ્રીએ પણ ઉજવણી કરી દીધેલી… પરંતુ ત્યારે બે-ત્રણ મિત્રોએ મારું ધ્યાન દોરેલું કે કદાચ એમની જન્મતારીખ સપ્ટેમ્બરમાં નથી. પછી તો તુષારભાઈ પાસેથી જ એમની સાચી જન્મતારીખ confirm કરાવેલી… જે હતી આજની તારીખ, જૂન 29. ત્યારે ખોટ્ટુકલી વર્ષગાંઠ ઉજવેલી અને આજે સાચ્ચુકલી વર્ષગાંઠ ઉજવીએ… (શુભેચ્છાઓ તો જો કે ત્યારે ય સાચ્ચુકલી જ હતી!)
તમે તુષારભાઈનું ખૂબ જ લોકપ્રિય થયેલું અને એમનાં નામનાં પર્યાય-સમું થઈ ગયેલું પેલું ગીત દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ તો વારંવાર સાંભળ્યું અને માણ્યું જ હશે.. જે ખરેખર તો પુરુષનાં મિજાજનું ગીત છે. એ જ ગીતનાં સંદર્ભમાં તુષારભાઈએ તાજેતરમાં જ એક બીજું સ્ત્રીનાં મિજાજનું ગીત પણ લખ્યું છે. જે નજીકનાં ભવિષ્યમાં જ એ ગીત જેટલી સફળતા પામે તો બિલકુલ નવાઈ નહીં લાગે ! જેનાં વિશે વધુ આપણે તુષારભાઈનાં અવાજમાં જ સાંભળીએ અને માણીએ… જે સૂર-સંવાદવાળા આરાધનાબેને લીધેલી મુલાકાત દરમ્યાન તુષારભાઈએ સંભળાવ્યું હતું… (એમની આખી મુલાકાત ટહુકા પર સાંભળી શકો છો!) આજે આપણે એમનાં એ જ ફ્રેશ ગીતને અહીં માણીએ.
(તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત… Photo: Clark Little))
પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
-તુષાર શુક્લ
આખું ગીત ખૂબ જ મનભાવન અને મધુરું લાગ્યું. ખાસ તો ભીતરથી તરબતર હોવા છતાંયે પ્રિયતમ નેહનું મોજું બની ફરી ફરીને ભીંજવી શકે એ માટે કોરપને ઓઢવાની વાત ખૂબ જ સ્પર્શી ગઈ…! ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તુષારભાઈ… અને આવા જ ગીતો ગુજરાતી સાહિત્યને અને અમને હંમેશા આપતાં રહો એવી સનાતન અપેક્ષા સહ… સ્નેહવંદન.
નહીં કૈં નીપજે નાહક બધાયે આ ઉધામાથી,
થશું સુંદર અને સદ્ધર સ્મરણ જો એમનું થાશે.
અચાનક કોઈ આવી પ્રાણવાયુ પૂરશે એમાં,
પછી પંગુ થશે પગભર સ્મરણ જો એમનું થાશે.
- નીતિન વડગામા
‘કોક’નાં સ્મરણ -પછી એ પ્રિયજનનું હોય કે પરમેશ્વરનું હોય -થી જ્યારે ભીતરનાં દિવડાં ઝળહળી ઉઠે ત્યારે એકેક પળ એકેક અવસર બની જાય છે… અને ત્યારે અંદરનો બધો ઉકળાટ ઓગળતા ભીતર તો વધુ સુંદર અને વધુ સદ્ધર જ થવાનું… કોઈનાં તીવ્ર સ્મરણમાં જ્યારે પોતાનાથી પણ પર થઈ જવાય એવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એ સ્થિતિને કદાચ સ્મરણની ઉજવણી કહી શકાય…! જો કે, કવિશ્રીએ તો અહીં દરેક શેરમાં સ્મરણનું ઉજવણું જ કર્યું છે.
લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્ર્ગીત ગાવ : ‘કાગડો મરી ગયો…’
રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા…
You stop… stop… stop… now કાગડો મરી ગયો.
-રમેશ પારેખ
કોઈ કાગડાના મરી જવા જેવી ‘સામાન્ય’ ઘટનામાંથી ર.પા. આપણને આપે છે એક હળવી ગઝલ… કાગડાના નિશ્ચેત દેહને જોઈને કવિની ચેતના જાગી જાય છે અને કવિની કલમ ઊઠી જાય છે…! કાગડા અને એના કાગડાપણાં વિશેની અટકળો કરતાં કરતાં છેવટે અંતમાં કવિ ખુદને ટપારે પણ છે જેમાંથી આપણને ખૂબ જ મજાનો અને હળવો મક્તાનો ગુજલીશ શેર મળે છે… :-) ઘણા શે’રમાં તો જાણે એવું જ લાગે છે કે કવિએ કાગડાને માત્ર અહીં પ્રતિકરૂપે જ લીધો છે અને વાત કરી છે માણસનાં ‘કાગડાપણાં’ની…!
પ્રિય મિત્રો, અંગત કારણોસર હાલ પૂરતો આ વિડીયો ઉઠાવી લેવામાં આવ્યો છે… જેને માટે હું આપ સૌની ક્ષમા માંગુ છું. ફરીથી જ્યારે આ ગીતની સારી આવૃત્તિ કે ઓડિયો મળશે ત્યારે ફરીથી અહીં તમારી જરૂર સમક્ષ રજૂ કરીશ.
——
સૌ મિત્રો અને પપ્પાઓને Happy Father’s Day!!
થોડા વખત પહેલાં આ ગીતનાં શબ્દોને શોધવાં માટે આપણા જયશ્રીબેને બધાને દોડતા કરી દીધા હતા… અંતે ગોપાલકાકાએ કવિશ્રીની પાસેથી જ એ ગીતનાં શબ્દો મેળવી આપ્યા હતા. અને પછી તો થોડા જ સમય બાદ જ્યારે અમરભાઈએ એમનાં ‘શબ્દનો સ્વરાભિષેક’ કાર્યક્રમમાં આ જ ગીત સાક્ષાત ગાઈ સંભળાવ્યું, ત્યારે મને ખૂબ જ સાનંદાશ્ચર્ય થયેલું !! અને તરત જ મેં એ ગીતને મારા વિડીયોકેમેરામાં કેદ કરી લીધું હતું… આજનાં ખાસ દિવસ માટે જ સ્તો ! અમરભાઈ પાસેથી જ્યારે મને આ ગીતનાં સ્વરાંકનની ઓડિયો મળશે ત્યારે તમને ફરી હું એ જરૂરથી સંભળાવીશ…!
તો પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મોજ જરી આવે તે થયું મને, STDની ડાળથી ટહૂકું…..
હૉસ્ટેલને ?…… હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ,
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ;
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
તો પપ્પા, હવે ફોન મૂકું ?
મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે?….ના, ના…તો વાસણ છો માંજતી,
કે જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી;
સાચવજો….. ભોળી છે…. ચિંતાળુ….ભૂલકણી…. પાડજો ના વાંકું કે ચૂંકું.
તો પપ્પા, હવે ફોન મૂકું ?
શું લીધું ?…. સ્કૂટરને ?…. ભારે ઉતાવળા…. શમ્મુ તો કેતો’તો ફ્રીજ,
કેવા છો જિદ્દી ?….ને હપ્તા ને વ્યાજ ?…વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ;
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં,……… એટલે કે ટૂંકું.
તો પપ્પા, હવે ફોન મૂકું ?
વેબસાઈટની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ઉજવાયેલા આ અઠવાડિયાનાં કાવ્યપઠન-સ્પેશ્યલને હું રઈશભાઈની મને સૌથી વધુ ગમતી એક યાદગાર ગઝલની સાથે વિરામ આપું છું. એમ તો રઈશભાઈની ઘણી બધી ગઝલો ‘મને-સૌથી-વધુ-ગમતી-ગઝલો’નાં લિસ્ટમાં આવે છે… જેમ કે- આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું, સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી અને મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું? …! છતાં દરેક વખતે આ ગઝલ મને જરા વધારે જ ગમી જાય છે. તો મિત્રો, કાવ્યપઠન-સ્પેશ્યલની grand-finale તરીકે આજે આપણે આ ગઝલનાં પઠનની સાથે સાથે, એને સંગીત સાથે પણ માણીએ… અને એ પણ બે અલગ અલગ સુમધુર સંગીત સાથે અને અલગ અલગ સુરીલા સ્વરમાં.
(કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે…)
પ્રસ્તાવના અને પઠન: રઈશ મનીઆર
એવું નથી કે હોડી બનાવી નહીં શકું,
પણ છે નદી બરફની, તરાવી નહીં શકું;
ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું.
પ્રેમમાં પણ ખુદ્દારી તો અકબંધ રહેવી જ જોઈએ… પ્રેમ ગમે તેટલો ભરપૂર હોય અને પ્રિયજનને માટે ગમે તે કરી છૂટવાની તૈયારી હોય, પણ તોયે એને માટે પોતાના સ્વમાનની સાથે સમાધાન કરવાનું કવિને મંજૂર નથી જ નથી…!
સ્વર-સંગીત: શૌનક પંડ્યા
સ્વર-સંગીત: ધ્વનિત જોષી
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
- રઈશ મનીઆર
કહેવાની જરૂર નથી કે આખી ગઝલ જ ઉત્તમોત્તમ છે… દરેકે દરેક શેર ગઝલનું હૃદય હોય એમ લાગે છે. એમ તો આખી ગઝલ જ મને હૃદયસ્થ છે પરંતુ મત્લાનો, ત્રીજો અને પાંચમો શેર જરા વધુ હૃદયસ્થ છે.
*
પ્રિય મિત્રો, આ કાવ્યપઠન-સ્પેશ્યલ વીકમાં આપ સૌનાં સતત આગમન બદલ અને ક્યારેક ક્યારેક ટીપ્પણીરૂપી અહીં તમારાં પગલાં પાડી જવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર… આશા રાખું છું કે આ સ્પેશ્યલ-સપ્તાહને આપ સૌએ મન ભરીને માણ્યું હશે. હવેથી ફરી કાયમની જેમ જ મળતા રહીશું… લગભગ એક-બે દિવસનાં આંતરે આંતરે…
ઊર્મિસાગર.કૉમની વર્ષગાંઠ માટે ખાસ આ અછાંદસ અને કાવ્યપઠન મોકલવા માટે પ્રજ્ઞાબેન અને મેહુલનો આભાર.
(ભૂતકાળની અવિભક્તિ…)
સ્વર : પ્રજ્ઞા વશી
દસ દસ જણાના
બાપ-કાકાનાં ખૂ…બ મોટા કુટુંબમાં
ઊભા થયેલા પ્રશ્નો
બા પોતે સહન કરીને પણ
ધીરજપૂર્વક
હસતી હસતી પાછળ ઠેલતી,
ઉકેલતી…
અને પોતાને મળેલ ‘મોટીબા’ નું પદ
ખરા અર્થમાં શોભાવતી રહેતી.
અને ત્યારે
અમે ભાઈ-બહેન ગુસ્સે થઈને કહેતા:
“તારું જીન્દગીનું ગણિત તો સાવ કાચું…
આવા મોટા પ્રશ્નો કંઈ શાંતિથી ઉકેલાઈ ખરા…?!”
આજે બા નથી.
ત્યારે
વર્ષો બાદ,
નાનકડી મણકાની માળા પણ કેમ વેરવિખેર થઈ ગઈ-
તેનો ખ્યાલ,
તેમ જ, ભણેલા કરતાં પણ કોનું ગણિત પાકું-
એ પણ અમને સમજાવા માંડ્યું છે, બા..!
પણ…
-પ્રજ્ઞા વશી
કવયત્રીનું અછાંદસ વાંચીને આપણી નજર સમક્ષ પણ આપણી કોઈ ‘બા’ તરવરી ઉઠે છે. ગઈકાલની સંયુક્ત કુટુંબની વાતો આજે આપણને હવે માત્ર વાર્તા જેવી જ લાગે છે. આજે નાનેરાથી માંડીને વડીલો સુધીનાં આપણને બધાને ‘પ્રાઈવસી’ જોઈએ છે… કુટુંબો વિભક્ત થઈ ગયા છે કારણ કે માણસમાં હવે પહેલા જેટલો tolerance power નથી રહ્યો… સમય સાથે બધુ બદલાય છે, એ સનાતન નિયમમાં માણસની પ્રકૃતિ પણ અપવાદરૂપ નથી. ક્યારેક સ્વતંત્રતાને નામે થોડી સ્વછંદતા પણ પોષાઈ જાય છે. કુટુંબમાં સંયુક્તતાનો ભાગ્યે જ કોઈ concept બાકી રહ્યો છે. હા, હજી એમાં થોડા અપવાદો જરૂર છે… પરંતુ એ અપવાદોને બાદ કરતાં હકીકત તો એ જ છે કે આજે આપણને સંયુક્ત કુટુંબમાં રહેતું કોઈ એકાદ જણ પણ મળી જાય તો આપણું ધ્યાન એમનાં તરફ ખાસ દોરાય છે અને એમને કદાચ ઘણા પ્રશ્નો પણ પૂછાય જવાય છે. ‘પણ’થી અધૂરા રહેતા આ કાવ્યની જેમ જ આપણે બધ્ધા પણ આ બધી ફિલોસોફી ખૂબ જ સારી રીતે જાણતા અને સમજતા હોવા છતાંય…
હવે હાથથી કશું પણ છૂટી જાય છે,
ત્યારે આંખો ભીની નથી થતી..
પણ સ્તબ્ધ થઈ જાય છે.
સંબંધો કાચનાં વાસણ જેવા હોય છે
એવું સમજાય તો ગયું’તું સમયસર,
છતાંયે…
આંગળીએથી ઘણું છૂટી ગયું તે છૂટી જ ગયું..
દરેક વખતે હું ટળવળી.. કકળી.. રડી…
પણ
હાથથી છૂટી ગયેલું કશું જ પાછુ ફર્યુ નહીં.
હવે
કોઈ અણિયાળા પત્થરથી
મારા પર ઘા થતો હોય
ત્યારે હું લોહીલુહાણ
થઈ ગયેલા બધાં જ વાઘા ફગાવી દઈ
ચીસ પાડું,
શરીરમાંનું બધું જ જોર ભેગું કરું
અને કોઈ સ્ત્રી પ્રસવ વખતે જોર કરી બાળકને નીચે ધકેલે
એમ જ
ધકેલી દઉં મને મારી જ બહાર…
પછી આંગળીને ખાલીપો વર્તાય..
અને હું
હાથથી બધું જ છૂટી ગયાંની ખાતરી કરી
સ્તબ્ધ થયેલી આંખો સાથે
પાછી ફરું મારામાં..
હવે
મને સમજાઈ ગયું છે
કે ગર્ભ ધારણ કર્યા પછી
પ્રત્યેક પ્રસવે
મારે તો મૃત બાળકને જ જન્મ આપવાનો છે..!!
-એષા દાદાવાળા
સ્વીકાર… ઘણીવાર આ સ્વીકાર (Acceptance) નો અર્થ આપણે સંજોગો સામે ‘give up’ કરવું- એમ કરતાં હોઈએ છીએ..! અને આ કાવ્યમાંથી પણ એવો જ નિરાશાવાદી સૂર સંભળાય છે. પરંતુ ’સ્વીકાર’નો મતલબ કાયમ એવો નથી હોતો કે સંજોગો સામે નાસીપાસ થઈને પ્રયત્નોનાં દરેક શસ્ત્રોને હેઠે મૂકી દેવા… ક્યારેક સંજોગોને બદલવામાં શક્તિનો વ્યય કરવાની જગ્યાએ જેવા-છે-તેવા સંજોગોનો સ્વીકાર કરવાથી એ જ શક્તિ આપણે સંજોગો સામે ઝઝૂમવામાં પણ કામ આવી શકે… અને તો કદાચ વિષમ પરિસ્થિતિમાં પણ જીવન જીવવા જેવું લાગે, એવુંયે બને. કેટલીયે એવી અનાથ ઊર્મિ હશે જેણે આપણી ભીતર લગી આવવું હશે… બની શકે કે આ સંજોગોનાં સ્વીકારથી અને ‘સ્વ’નાં આવિષ્કારથી જ એને ‘આપણાપણા’નું ઘર મળી શકે…!